એનિમલ રાઇટ એક્ટિવિસ્ટે ગામના સરપંચ અને સેક્રેટરી સામે લગાવ્યો આરોપ,પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
ઝેર આપીને શ્વાનની કરવામાં આવી હત્યા
100 શ્વાનને ઝેર આપી હત્યા કરાઇ
સરપંચ વિરુદ્ધ દાખલ કરાયો કેસ
તેલંગાણાના સિદ્ધિપેટ જિલ્લામાં ઓછામાં ઓછા 100 રખડતા શ્વાન માર્યા ગયા હોવાનું સામે આવતા ચકચાર મચી છે. એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ અદલાપુરમ ગૌતમના જણાવ્યા મુજબ ગામના સરપંચ અને સેક્રેટરીએ મળીને શ્વાનને ઝેર આપીને મારી નાંખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મહત્વનું છે કે ગૌતમ સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના સભ્ય છે. તેઓએ પોલીસે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
ફરિયાદમાં શું કહેવામાં આવ્યું ?
ગૌતમે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે જગદેવપુર મંડળના તિગુલ ગામમાં રખડતા શ્વાનોની દ્વારા સામૂહિક હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. તેમના કહેવા મુજબ ગામના સરપંચ અને પંચાયત સેક્રેટરીએ શ્વાનને પકડનારને કામે રાખ્યા છે. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 27 માર્ચે કૂતરાઓને ઝેર આપવામાં આવ્યું હતું. આ સિવાય તેઓએ એક પાલતુ શ્વાનને પણ મારી નાખ્યો હતો. રવિવારે ફાઉન્ડેશનના સભ્યો ગામમાં પહોંચ્યા હતા. જાણવા મળ્યું કે શ્વાનોને માર્યા પછી કૂવામાં ફેંકી દેવામાં આવ્યા અને પછી આગ લગાડી દેવામાં આવી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ખાડામાં પડેલા શ્વાનોના મૃતદેહ પણ જોવા મળ્યા હતા.
સરપંચને સસ્પેન્ડ કરવાની માંગ
એક્ટિવિસ્ટ ગૌતમ દ્વારા સિદ્ધિપેટના કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ ફરિયાદ મોકલવામાં આવી છે. આ ગુના બદલ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે શ્વાન એ પાલતુ પ્રાણી છે. લોકો ઘરે તો તેને પાળે જ છે પરંતુ પ્રાણી પ્રેમીઓ શેરીમાં રખડતા શ્વાનની પણ એટલી જ કાળજી રાખે છે. ત્યારે આવી ઘટનાને પગલે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.