ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; યુવરાજસિંહની ધરપકડ બાદ 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, અખાત્રીજનાં પવન પરથી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે
ડમીકાંડ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુવરાજસિંહની ધરપકડ બાદ ગઈકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જે મામલે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. વિગતો મુજબ પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવરાજસિંહ પાસેથી એક કરોડની રિકવરી તેમજ પોલીસ મોબાઈલનો ડેટા પણ રિકવર કરશે.
અખાત્રીજનાં પવન પરથી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે. પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 25 મે અને 10 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે.
ગુજરાત રાજ્યમાં માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યા બાદ એપ્રિલ માસના મધ્યમા રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. ત્યારબાદ હમણાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો સાથે સાથે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે પાલનપુરમાં એક પત્રકાર પરિષદ કરી હતી. મેવાણીએ આ પત્રકાર પરિષદમાં બનાસકાંઠા જિલ્લામાં લાઈવલીહુડ અને વોટરસેડ યોજનામાં મોટું કૌંભાંડ હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે.
બોટાદનાં પીંપરડી ગામની વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીની આપવીતી જણાવી રહી છે. વીડિયોમાં યુવતિ પોતાની સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. 10 એપ્રિલે 4 શખ્શોએ વિદ્યાર્થીનીનાં કપડા ફાડી નાંખ્યા હતા. માતા પિતા વગરની દિકરીએ સમાજનો લોકોને સહારો માંગ્યો હતો. પરંતું મારા સમાજનાં લોકોએ મને સહકાર નથી આપ્યો તેનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે ન્યાય નહી મળે તો આપઘાતની પણ વિદ્યાર્થીનીએ ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ત્યારે શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેમાં મણીનગર, ખોખરા, હાટકેશ્વર અને જશોદાનગરમાં રખડતા શ્વાન જોવા મળી રહ્યા છે. ત્યારે AMC ની રખડતા શ્વાનને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું છે કે રખડતા શ્વાનને કારણે અમારા બાળકો બહાર રમી શકતા નથી. તેમજ બહારથી આવતા લોકો પણ ડરનાં માર્યા અમારે ઘરે આવી શકતા નથી. તેમજ બાળકોની સાથે મોટા માણસો પણ શ્વાનથી ડરે છે. રખડતા શ્વાનને લઈ AMC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ મહિનામાં 2670 રખડતા શ્વાન પકડાયા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકોને રખડતા શ્વાનથી મુક્તિ ક્યારે મળશે તે એક મોટો સવાલ છે.
પાટણ જીલ્લાનાં રાધનપુર તાલુકાનાં રેલ્વે સ્ટેશન ખાતે ઠાકોર પરિવાર દ્વારા પડતું મુકી સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પરિવારનાં તમામ સભ્યોને 108 મારફતે રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાધનપુર રેલ્વે સ્ટેશન ખાતે ઠાકોર પરિવાર દ્વારા સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની જાણ પોલીસ તેમજ 108 ને કરતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પરિવારનાં તમામ સભ્યોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. ત્યારે સામુહિક આપઘાતના પ્રયાસનું કારણ હજુ અકબંધ છે. મળતી માહિતી મુજબ આર્થિક સંકડામણને કારણે પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેર જિલ્લા વાર કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 73 કેસ નોંધાયા છે. જ્યા એક દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. તો વડોદરા શહેરમાં 30, સુરત શહેરમાં 28 કેસ સુરત, ગ્રામ્યમાં 18 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 11, મહેસાણામાં 10 કેસ, અમરેલીમાં 8 કેસ નોંધાયા છે. વધુમાં વલસાડમાં 8 કેસ, પાટણમાં 7 કેસ, બરકાંઠામાં 7 કેસ, વડોદરા ગ્રામ્યમાં 7 કેસ, ભરૂચમાં, 6 કેસ, ભાવનગર શહેરમાં 6 કેસ, ગાંધીનગર શહેરમાં 6 કેસ, નવસારીમાં 5 કેસ, આણંદમાં 4 કેસ, મોરબીમાં 4, કચ્છમાં 3 કેસ. અમદાવાદ ગ્રામ્યમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. અહીં યુપીના અયોધ્યાથી આંબેડકર નગર તરફ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈને પલટી ગઈ. આ અકસ્માતમાં 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત લખનૌ-ગોરખપુર હાઈવે પર થયો હતો. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર બસ અને ટ્રક સામસામે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક પલટી મારી બસની ઉપર પડી હતી. અયોધ્યાના ચીફ મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા સાત લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ દુર્ઘટના બાદ એક ડઝનથી વધુ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી રહ્યા છે.
ગેંગસ્ટરમાંથી માફિયા બનેલા અને પછી રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગયા અઠવાડિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની હત્યાને લઈને હવે આતંકી સંગઠન અલ કાયદાએ તેના મોતનો બદલો લેવાની વાત કરી છે. વાયરલ લેટર અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું છે કે તેઓ જેહાદ દ્વારા અતીક-અશરફની હત્યાનો બદલો લેશે. જે લોકો પણ આ ઘટનામાં સામેલ હતા તેમને પાઠ ભણાવવામાં આવશે. અલકાયદાએ કહ્યું કે, અતીક-અશરફની હત્યાનો બદલો લેવા માટે જો તેને પોતાના બાળકોનું બલિદાન આપવું પડશે તો તે તે કરવા તૈયાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ પહેલા એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પછી કેરળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. પત્ર મોકલનારે પીએમ મોદીની 24 એપ્રિલે કોચીની મુલાકાત દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. આ પત્રમાં મોકલનારનું નામ અને સરનામું લખવામાં આવ્યું છે. આ પછી તરત જ પોલીસ તે જગ્યાએ પહોંચી ગઈ જેનું નામ પત્રમાં લખેલું હતું. જ્યારે પોલીસ તેના ઘરે પહોંચી તો તે ડરી ગયો અને તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે મને ફસાવવા માટે કોઈએ પત્ર પર મારું નામ લખ્યું છે. જ્યારે મને એ પણ ખબર નથી કે આ મામલો શું છે? જો કે કેરળમાં હાઈ એલર્ટ છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધી ગયું છે.
જમ્મૂ-કાશ્મીરનાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. આજે બપોરે કિસાન નેતા ગુરુનામ સિંહ ચઢૂનીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે હતું કે, સાથીઓ, મને અને સત્યપાલ મલિકની દિલ્હીનાં આરકે પુરમમાં ધરપકડ કરવામાં આવી છે. ચઢૂનીએ કહ્યું કે ખામનાં વડાઓ અને જન પ્રતિનિધિઓનો એક કાર્યક્રમ હતો પરંતુ પોલીસે પ્રોગ્રામ જબરદસ્તી બંધ કરાવ્યો. પ્રદર્શન કરવાની વાત પર તેમણે પોતાના લોકોને સંબોધિત કરતાં લખ્યું કે હાલમાં તમારે કંઈ નથી કરવાનું.
કુખ્યાત અતિક અહેમદ અને અશરફ અહેમદની હત્યા પ્રકરણ આખા દેશમાં ગાજ્યું છે. હવે જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ આ પ્રકરણમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં સામે આવ્યું છે કે હત્યાકાંડમાં ત્રણ શુટર્સ નહીં પરંતુ આ સિવાય પણ અન્ય બે લોકોની સંડોવણી છે જે શખ્સોએ પડદા પાછળ રહી હત્યા પ્રકરણમા ભૂમિકા ભજવી હતી. તેમાંથી એક સ્થાનિક હતો અને તેણે જ શૂટરોને રહેવા જમવા અતીક-અશરફના લોકેશન અને રહેવા, જમવાની વ્યવસ્થા કરી હતી. હત્યા પ્રજરણમાં રહેલ અને રહસ્યને લઈને પહેલેથી જ શંકા જતી હતી કે આ પ્રકરણમાં અન્ય કોઈની પણ સંડોવણી હોય! પોલીસ ઝપટે ચડેલ આરોપી પાસેથી મોબાઈલ કે પૈસા પાછા ન મળવા સહિતની અનેક કડી રહસ્ય જન્માવતી હતી. ત્યારે આરોપીઓ પાસે મોબાઈલ ન હોવા છતાં તને માફિયાબંધુ કયા સમયે હોસ્પિટલ પહોંચશે. તે કેવી રીતે જાણ થઈ હતી? પોલીસના આ સવાલના જવાબની શોધમાં હતી ત્યારે ખબર પડી કે શૂટર્સના બે મદદગારો પણ સ્થળ પર હાજર હતા. આ શખ્સો શૂટરોને લોકેશન આપીને બહાર જ રહ્યા હતા. એવું પણ સામે આવી રહ્યું છે કે આ શખ્સો હોસ્પિટલમાં ખૂણે ખૂણાની માહિતી ધરાવતા હતા.
સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા તેના પરિસરમાં માસ્ક ફરજિયાત બનાવ્યું હતું. જરુરી પગલાં લેવા છતાં પણ સુપ્રીમ તેના પરિસરમાં કોરોનાની એન્ટ્રી રોકી શકી નહોતી. હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજ પણ કોવિડથી સંક્રમિત હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોવિડથી સંક્રમિત થયેલા જજોમાંથી એક ગે મેરેજ કેસની સુનાવણી માટે બનાવવામાં આવેલી બંધારણીય પીઠનો ભાગ છે. હાલમાં સુપ્રીમની પાંચ સભ્યોવાળી બંધારણીય પીઠ સજાતિય લગ્નને લઈને સુનાવણી કરી રહી છે પરંતુ હવે સોમવારે સુનાવણી નહીં થાય.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)એ વધુ એક સિદ્ધિ પોતાને નામ કરી છે. આજે શનિવારે (22 એપ્રિલ)ના રોજ ઈસરોએ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) લોન્ચ કરવામાં સફળતા મેળવી છે. આ રોકેટે સિંગાપુરના બે મોટા ઉપગ્રહ અને ઇન હાઉસ પ્લેટફોર્મ સાથે ઉડાન ભરી હતી. મહત્વનું છે કે પીએસએલવી c55 મિશનને આંધ્રપ્રદેશમાં આવેલ શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. જે બપોરે 2:19 કલાકે લોન્ચ થયું હતું. PSLV ની આ 57 મી ઉડાન છે અને PSLV કોર. અલોન કન્ફ્રીગરેશનના ઉપયોગ કરનારું આ 16મુ મિશન છે. જેને ઇસરો દ્વારા TLEOS -2 નામ અપાયું છે.