હાલ દિલ્હીમાં નવી દારૂની નીતિ હાલ ઘણી ચર્ચામાં છે. તેવામાં અરવિંદ કેજરીવાલના રાજકીય ગુરુ કહેવાતા અન્ના હજારેએ તેમને પત્ર લખ્યો છે. આ પત્રમાં અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં દારૂની દુકાનો બંધ કરાવવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે "સ્વરાજ" પુસ્તકમાં ઘણી વાતો કરી છે, પરંતુ તેની તેમના આચરણ પર કોઈ અસર દેખાઈ રહી નથી.
અન્ના હજારેએ પોતાના પત્રમાં અરવિંદ કેજરીવાલને સંબોધતા લખ્યું છે કે, 'તમે મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારની દારૂની નીતિ વિશે જે સમાચાર આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે. અન્ના હજારેએ કહ્યું કે મહાત્મા ગાંધીના 'ગામ તરફ ચલો'ના વિચારથી પ્રેરિત થઈને મેં મારું જીવન ગામ, સમાજ અને દેશ માટે સમર્પિત કર્યું છે. છેલ્લા 47 વર્ષથી હું ગામના વિકાસ માટે કામ કરું છું અને ભ્રષ્ટાચાર સામે આંદોલન કરું છું.
દારૂની જેમ સત્તાનો નશો પણ છે: અન્ના હજારે
અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલને સંબોધતા લખ્યું કે, તમારી સરકારે દિલ્હીમાં નવી દારૂની નીતિ ઘડી છે, જે એવું લાગે છે કે તે દારૂના વેચાણ અને વપરાશને પ્રોત્સાહિત કરી શકે છે. શેરીમાં દારૂની દુકાનો ખોલી શકાશે. આનાથી ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે અને તે જનતાના હિતમાં નથી. આ પછી પણ તમે આવી દારૂની નીતિ લાવ્યા છો. આના પરથી લાગે છે કે, જેમ દારૂનો નશો છે તેમ સત્તાનો નશો પણ છે. તમે પણ આવી શક્તિના નશામાં છો, એવું લાગે છે. અન્ના હજારે એ પણ પોતાના પત્રમાં તેમના આંદોલનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તમે તમારો રસ્તો ભટકી ગયા છો.
Anna Hazare writes to Delhi CM Kejriwal over New Liquor Policy
"Had expected a similar policy(like Maharashtra's). But you didn't do it.People seem to be trapped in a circle of money for power&power for money. It doesn't suit a party that emerged from a major movement,"he writes pic.twitter.com/4yTvc0XI5K
અરવિંદ કેજરીવાલને જૂના દિવસોની યાદ અપાવતા અન્ના હજારેએ કહ્યું કે, તમે અમારા ગામ રાલેગણ સિદ્ધિ આવ્યા છો. અહીં તમે દારૂ, બીડી, સિગારેટ વગેરે પર પ્રતિબંધની પ્રશંસા કરી. રાજકારણમાં આવતા પહેલા આપે 'સ્વરાજ' નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં તમે ગ્રામસભા, દારૂની નીતિ વિશે મોટી મોટી વાતો લખી હતી. ત્યારે તમારી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ રાજકારણમાં આવ્યા બાદ અને મુખ્યમંત્રી બન્યા પછી તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો.
અન્ના હજારેએ લખ્યું, '10 વર્ષ પહેલા 18 સપ્ટેમ્બર 2012ના રોજ દિલ્હીમાં ટીમ અન્નાના સભ્યોની બેઠક થઈ હતી. તે સમયે તમે રાજકીય માર્ગ અપનાવવાની વાત કરી હતી. પરંતુ તમે ભૂલી ગયા કે રાજકીય પક્ષ બનાવવો એ અમારા આંદોલનનો ઉદ્દેશ્ય નથી. તે સમયે જનતાને ટીમ અન્નામાં વિશ્વાસ હતો અને મને લાગતું હતું કે, આપણે લોકશિક્ષણ અને જનજાગૃતિનું કામ કરવું જોઈએ. જો લોકશિક્ષણનું કામ હોત તો દેશમાં ક્યાંય આ પ્રકારની દારૂની નીતિ ન બની હોત. અન્ના હજારેએ કહ્યું કે કોઈપણ પક્ષની સરકાર હોય તે માટે સમાન વિચારધારાવાળા લોકોનું દબાણ જૂથ હોવું જરૂરી છે. જો આમ થયું હોત તો આજે દેશની સ્થિતિ અલગ હોત અને ગરીબ લોકોને ફાયદો થયો હોત.