વર્ષ 2022ના પાના પર નજર કરીએ તો કેટલીક એવી મોટી ઘટનાઓ બની, જે ઇતિહાસ બનીને રહી જશે. વર્ષની શરૂઆતમાં એક મોટી ઘટનાથી સૌને આશ્ચર્ય થયું હતું.
વર્ષ 2022 ની એવી ઘટના જે લોકોને યાદ રહેશે
મોરબી ઝૂલતો પુલ ઘટનામાં 135 લોકોના મોત
ઘણા દીગ્ગજોએ દુનિયામાંથી અલવિદા કહ્યું
વર્ષ 2022 ને પૂરું થવામાં હવે એક સપ્તાહનો સમય જ રહ્યો છે. ત્યારે ઘણા લોકો માટે આ સમય સારો રહ્યો હશે ત્યારે અમુક લોકોને આ વર્ષ ખુબ યાદ રહી ચુક્યું હશે. આ વર્ષ હવે સારી અને ખરાબ યાદો સાથે સમાપ્ત થઇ રહ્યું છે. હવે નવું વર્ષ 2023 નવી આશાઓ સાથે શરૂ થઈ રહ્યું છે. પરંતુ જો તમે આ વીતેલા વર્ષ પર એક નજર નાખો, તો તમને એ વર્ષમાં બનેલી ઘટનાઓ યાદ આવી જશે, જેની તમારા જીવન પર થોડી અસર પડી હતી. આ એક વર્ષમાં ઘણા લોકોના જીવન બદલાઈ ગયા. કેટલાકને નોકરી મળી, કેટલાકે લગ્ન કર્યા, કેટલાકે પોતાના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા, કેટલાકે પોતાના સપના સાકાર કર્યા. વીતેલું વર્ષ કેવું રહ્યું તેનું મૂલ્યાંકન કરવાનું તમારા પર છે. પરંતુ વર્ષ 2022ના પાના પર નજર કરીએ તો કેટલીક એવી મોટી ઘટનાઓ બની, જે ઇતિહાસ બનીને રહી જશે. વર્ષની શરૂઆતમાં એક મોટી ઘટનાથી સૌને આશ્ચર્ય થયું હતું. કોરોના યુગથી પરેશાન લોકો કંઈક સારું થવાની આશા રાખતા હતા પરંતુ વર્ષના પહેલા જ દિવસે એક અકસ્માત થયો. જોકે પાછળથી કેટલીક સારી તકો પણ આવે છે. આવો જાણીએ વર્ષ 2022ની સૌથી મોટી ઘટના, જે હંમેશા યાદ રહેશે.
નવા વર્ષ પર વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ
જ્યારે લોકો વર્ષ 2022 ની શરૂઆતની ઉજવણી કરી રહ્યા હતા અને આ પ્રસંગે દર્શન માટે માતા વૈષ્ણો દેવી ધામ પહોંચ્યા હતા, ત્યારે વર્ષના પહેલા જ દિવસે એક દુ:ખદ અકસ્માત થયો હતો. 1 જાન્યુઆરી 2022ના રોજ વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 12 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા.
દિગ્ગજ હસ્તીઓના નિધન
સ્વર કોકિલા તરીકે જાણીતા ભારત રત્ન લતા મંગેશકરનું આ વર્ષે 6 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેમની વિદાય માત્ર સંગીત અને મનોરંજન જગત માટે જ નહીં પરંતુ ભારત માટે મોટી ખોટ હતી. 92 વર્ષની ઉંમરે લતાજીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સાથે જ પોલીટીક્સમાં પણ સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના પિતા મુલાયમસિંહ યાદવનું પણ આ વર્ષમાં જ નિધન થયું. ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું. તે 54 વર્ષના હતા. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીની કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
પાંચ રાજ્યોની ચૂંટણી
રાજનીતિના ક્ષેત્રમાં વર્ષ 2022 ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ વર્ષે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના ચૂંટણી પરિણામો દેશના રાજકારણ માટે નવી દિશા બની ગયા. યુપી અને ઉત્તરાખંડમાં ભાજપની વાપસી થઈ. આમ આદમી પાર્ટીએ પંજાબમાં વિપક્ષનો સફાયો કરી નાખ્યો. ગોવા અને મણિપુરમાં પણ બીજેપી સત્તા પર આવી. વર્ષના અંતે હિમાચલ પ્રદેશ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. ગુજરાતમાં ભાજપ ફરી સત્તા પર આવ્યું અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની.
કોંગ્રેસમાં બિન-ગાંધી પ્રમુખ
વર્ષ 2022માં કોંગ્રેસ પાર્ટીને તેના નવા અધ્યક્ષ મળ્યા. લગભગ 24 વર્ષ પછી પાર્ટીના અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના નેતા બન્યા. મલ્લિકાર્જુન ખડગેએ બિન-ગાંધી પ્રમુખ તરીકે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં શશિ થરૂરને હરાવ્યા હતા.
શ્રદ્ધા હત્યા કેસ
વર્ષના અંતમાં સૌથી મોટી ગુનાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીના મહેરૌલીમાં શ્રદ્ધા મર્ડર કેસએ સૌના દિલને હચમચાવી નાખ્યા હતા. લિવિનમાં રહેતી શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાની હત્યાનો આરોપ તેના બોયફ્રેન્ડ આફતાબ પર છે. હાલ આફતાબ તિહાર જેલમાં બંધ છે. કેસની તપાસ ચાલી રહી છે.
મોરબી દુર્ઘટના
ગુજરાત આ ગોજારી ઘટનાને ક્યારેય નહી ભૂલી શકે જયારે દિવાળીના સમય બાદ ત્યાં બનેલો વર્ષો જુનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને અનેક લોકો મચ્છુમાં ગરકાવ થઇ ગયા હતા. આ અકસ્માતમાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.