20મી માર્ચ "વર્લ્ડ સ્પેરો ડે" તરીકે ઉજવાય છે. ત્યારે અહીં વાત કરવા જઈ રહ્યાં છીએ ભાવનગરના પ્રભુદાસ તળાવમાં રહેતા કુંભાર પરિવારોની કે જેઓ ચોમાસુ પૂરુ થતાં જ પક્ષીઓ માટે માટીના માળા તેમજ પીવાના પાણીના કુંડા બનાવવામાં વ્યસ્ત બની જાય છે તો આવો જોઈએ આ સમગ્ર અહેવાલ....
શું તમને યાદ છે છેલ્લે તમે તમારા ઘરે ચકલી ક્યારે જોઈ હતી ? આપણાં ઘરના આંગણે ચીં...ચીં... કરતી ચકલી કયાં ગઈ ? આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે વાત કરીશું આ ચીં...ચીં... કરતી ચકલીઓની.... સામાન્ય રીતે કુંભાર પરિવારો માટલા તાવડી ગરબા કે કોડિયા વગેરે બનાવવામાં માહિર હોય છે પણ ભાવનગરના પ્રભુદાસતળાવના આ કુંભાર પરિવારો પક્ષી બચાવો માટે તેમના માટીના માળા અને કુંડાઓ બનાવવામાં વ્યસ્ત બન્યા છે. ભાવનગરના નારી રોડ પર આવેલા ખારના વિસ્તાર તરીકે ઓળખાતી દરિયાની ખાડીમાંથી આવેલા કાપની માટીમાંથી આવી અવનવી વસ્તુઓ બનાવે છે. અક્ષરજ્ઞાન ના હોવા છતા પણ પોતાની કળામાં તેઓ પાવરધા છે. આ પરિવારો દિવાળી બાદ માટીના માળા અને કુડા બનાવવામાં જોતરાઈ જાય છે. ઈલેકટ્રોનિક ચાકડા પર તેઓ માળા અને કુંડા બનાવે છે મુકેશ પરિવારનો આ પરિવાર ચાર પેઢીથી આ કામ સાથે જોડાયેલો છે. ઉનાળાના દિવસો દરમિયાન તેઓ પાંચ હજારથી પણ વધુ માળા અને કુંડાઓ બનાવી સોશિયલ મીડિયા દ્વારા વેચાણ કરી પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહ્યાં છે.
એક તરફ સિમેન્ટ કોંક્રિટના જંગલો વધી રહ્યાં છે ત્યારે પક્ષીઓએ વસવાટ ક્યાં કરવો એ પણ એક વિકટ પ્રશ્ન છે ત્યારે હવે લોકો પણ જાગ્રૃત થયા છે અને પોતાના બંગલા કે ફ્લેટમાં આવા માળા લટકાવી ચકલી તથા અન્ય પક્ષીઓનું જતન કરી રહ્યાં છે. તો કેટલાક લોકો આવા કૂંડાનું વિનામૂલ્યે પણ વિતરણ કરતાં હોય છે.
સામાન્ય રીતે આપણે કોઈ પણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી કરતા હોઈએ. છીએ. પણ જો આ અબોલ ચકલી જેવા પક્ષીઓને બચાવવામાં નહીં આવે તો કદાચ આવનારી પેઢીને ચીં....ચીં... કરતી ચકલી માત્ર તસવીરોમાં જ જોવા મળશે.