રાજકોટમાં એક પત્નીએ જ પોતાના પતિને પતાવી દેવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ પત્નીએ પોલીસને એવી તો અવડા રવાડે ચઢાવી કે હત્યાના મુખ્ય તારણ સુધી પહોંચવુ ઘણુ અઘરુ હતુ પરંતુ પોલીસે તપાસમાં આખરે હત્યા કેમ કરાઈ અને કોણે કરી તે જાણી જ લીધુ હતુ.
કાળા મુખૌટા પહેરી આપ્યો હત્યાને અંજામ
રાજકોટમાં પત્નીએ કરી, પોતાના પતિની હત્યા
હત્યા બાદ રચી ખોટી સ્ટોરી, દિયર ઉપર મૂક્યો આરોપ
પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.
કાળા મુખૌટા પહેરી આપ્યો હત્યાને અંજામ
પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.
દિયર સાથે મળીને હત્યા કરી હોવાનો આરોપ
તારીખ 8 નવેમ્બરે રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.
પોલીસે ફોડ્યો ભાંડો
આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.
શા માટે કરી હત્યા
પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો. તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી. જેના આઘારે 8 મી નવેમ્બરે જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસે કરી ધરપકડ
હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.