પોરબંદર પંથકમાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત બરડા ડુંગરના નેસ વિસ્તારમાં વસતા માલધારી પરીવારને પણ પીવાનું પાણી નહી મળતા હાલ આ માલધારી પરીવારો મુશ્કેલીમાં મુકાયા છે અને માલધારીઓ નેસ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યા છે
હાલ રાજયભરમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યુ છે. તો બીજી તરફ પોરબંદર પંથકમાં નહીંવત વરસાદને કારણે આ વર્ષે પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તો તંત્ર ધ્વારા ટેન્કર મારફત પાણી વિતરણ કરી લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે વી.ટી.વી ન્યુઝની ટીમ પોરબંદરના બરડાડુંગર વિસ્તારની મુલાકાત લીધી હતી.
જેમાં સૌથી કપરી પરિસ્થિતિ બરડા ડુંગરના ફુવારા નેસ વિસ્તારમાં રહેતા માલધારી પરીવારોની જોવા મળી હતી. વી.ટી.વી ન્યુઝની ટીમ જયારે ફુવારા નેસ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે માલધારી પરીવારોએ જણાવ્યુ હતુ કે અહીં અંદાજીત ૧પ જેટલા માલધારી પરીવારો વસવાટ કરે છે.
આ તમામ પરીવારો અંદાજીત ૧૦૦ થી વધુ પશુધન છે, ત્યારે માલધારી પરીવારો અને પશુધનને પીવા માટે પાણીનું જળસંકટ ઘેરુ બન્યુ છે. છેલ્લા બે માસથી આ વિસ્તારમાં પીવાના પાણીને લઈને આ પરીવારો મુશ્કેલી વેઠી રહયા છે.
માલધારી પરીવારોને પીવાના પાણી માટે ૩-૩ કીલોમીટર સુધી વલખા મારવા પડે છે. ઉંટ તથા કાવડની મદદથી આ માલધારીઓ દુર-દુર સુધી પાણી શોધવા માટે જતા નજરે ચડે છે. તેમ છતા તંત્ર ધ્વારા આ વિસ્તારના લોકોની દરકાર કરવામાં આવી નથી.
અહીં એક પવનચકકીના માધ્યમથી પીવાના પાણી માટે કુંડુ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ પવન ચકકી પણ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી એક માત્ર સ્ત્રોતમાંથી પણ પાણી મળતુ નથી.
વી.ટી.વી ન્યુઝની ટીમ ધ્વારા લેવામાં આવેલી ફુવારા નેસ વિસ્તારની મુલાકાત દરમ્યાન લોકોની એવી માંગ જોવા મળી હતી કે ગ્રામ્ય વિસ્તારમાં જેમ પીવાના પાણી માટે ટેન્કર આપવામાં આવે છે તેમ અંહી પણ એકાતરે પાણીનું ટેન્કર આપવામાં આવે તો અહીં વસતા માલધારી પરીવારોને પણ પાણીને લઈને મુશ્કેલી વેઠવી ન પડે. ત્યારે તંત્ર ધ્વારા પણ આ અંતરીયાળ વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી દુર કરવામાં આવે તે જરૂરી છે.
સળગતા સવાલ
બરડામાં શા માટે પાણીની સ્ત્રોત્ત ઉબા કરવામાં આવતા નથી ?
જંગલ વિસ્તાર હોવા છતાં પાણી માટે વિકલ્પો કેમ નથી ઉભા કર્યા ?
ચેકડેમ અને બીજા સ્ત્રોતથી પાણીનું વ્યવસ્થાપન કેમ નથી થતું ?
નેતાઓ વોટ લેવા બરડામાં જાય છે તો પાણીની સમસ્યા વખતે ક્યાં હોય છે ?
શું બરડાના નેસ પરોબંદરના વહીવટીતંત્રનો હિસ્સો નથી ?
અભણ માલધારીની સમસ્યા બાબતે પોરબંદરનું વહિવટિતંત્ર ચુપ કેમ છે ?
પોરબંદરના સ્થાનિક નેતાઓને માલધારીઓની સમસ્યા કેમ નથી દેખાતી ?
બરડામાં પશુ અને માણસો માટે ટેન્કરથી પાણી કેમ ન આપી શકાય ?
બરડાના 20 જેટલા નેસ માટે શા માટે પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવતી ?