રાજ્ય સરકાર અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ભૌતિક સુવિધાઓ માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે તેવા દાવા કરે છે. તેમ છતાં આજે પણ અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિવાસીઓ એક બેડા પાણી માટે વલખા મારી રહ્યાં છે. શાં માટે આદિવાસી પાણીનાં ટીપા માટે તડપી રહ્યો છે.
હવે જે લોકો આ કુવા પર પાણી ભરવા ઊભા છે. તે કુવાને તળિયે સાવ નાનું ખાબોચિયું ભરેલું છે. આ ખાબોચિયાને ઉલેચી લોકો પોતાનાં વાસણો ભરવાનો પ્રયાસ કરે છે. પણ કેટલાં લોકોનાં નસીબમાં આ પાણી હશે કે કેમ? લોકોએ અહીં ટીપેટીપાં પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતી સ્પષ્ટપણે જોવાં મળી રહી છે. અહીં બહેનો ખાડામાંથી પાણી ઉલેચી રહી છે. કટોરામાં માંડ માંડ પાણી આવી રહ્યું છે અને તે પણ છે ખૂબ ગંદુ. પાણીનો એક ઘડો માંડ-માંડ ભરાય છે.
ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જંગલ અને ડુંગર વિસ્તારની પાણી પરિસ્થિતિનો તાગ મેળવવા ફરતી હતી ત્યારે કપરાડા વિસ્તારમાં પાણી માટે રઝળપાટ કરતાં અહીં દ્રશ્યો જોવાં મળે છે. જે આદિવાસી વિસ્તારનાં વિકાસના દાવા સરકાર દ્વારા કરાઇ રહ્યાં છે. તે વિસ્તાર ટીપાં પાણી માટે વલખાં મારી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં પડે છે. પરંતુ હાલમાં આ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પાણીની હાલાકીથી બેહાલ છે.
ત્યારે વીટીવી અહીં સૌ પ્રથમ ડુંગર ઉપર વસતા ખડક માળ ગામે પહોંચ્યું હતું અને ત્યાનાં લોકોને પાણીની સમસ્યાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યારે મહિલાઓ દૂર-દૂર સુધી પાણી ભરતી જોવા મળી હતી. તો ગામમાં પીવાનાં પાણીની વ્યવસ્થા રૂપે કાળી ટાંકી પણ લગાવવામાં આવી હતી. પરંતુ આ ટાંકીનું પાણી ઘર-ઘર સુધી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું. તમે જે જોઈ રહ્યાં છો તે કાળી ટાંકી માત્ર શોભાનાં ગાંઠિયા સમાન છે. ગામ લોકોનાં કહેવા મુજબ આ ટાંકીમાંથી અઠવાડિયામાં માત્ર એકાદ વાર પાણી મળે છે. જેથી ગામનાં તંત્ર ટેન્કર દ્વારા પાણી પૂરું પાડે તેવી માંગ થઈ રહી છે.
કપરાડાનાં અનેક ગામોમાં પીવાનાં પાણીની સમસ્યાનાં દ્રશ્યો એક જ પ્રકારનાં જોવાં મળ્યાં હતાં. અન્ય એક મનાલા ગામમાં પણ સ્થાનિક આદિવાસી મહિલાઓ પાણી માટે ઝઝૂમતી જોવા મળી હતી. ગામનાં મોટાભાગનાં ફળિયામાં પીવાનાં પાણીની અછત જોવા મળી હતી. ગામમાં આવેલ કૂવામાં નજીવું પાણી જોવાં મળ્યું હતું. જેનાં કારણે ગામની મહિલાઓનો મોટા ભાગનો સમય કુવા પર જ જોવાં મળે છે. ત્યારે આ ગામનાં માજી સરપંચે પણ તંત્ર તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડે તેવી માગ કરી હતી.
જંગલ ડુંગરાળ પ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં પાણીની બુમ જોવા મળતી હતી. ત્યારે વીટીવીની ટીમ સીલધા ગામે પહોંચી હતી. આ ગામમાં તંત્ર દ્વારા રૂપિયા ચાર લાખનાં ખર્ચે એક મોટી પીવાનાં પાણીની ટાંકી બનાવી હતી. તો ગામમાં ત્રણ મોટા કુવા પણ બનાવ્યાં હતાં. જો કે બે કુવામાં એક ટીપું પણ પાણી જોવાં મળ્યું ન હતું. તો ભ્રષ્ટાચારની ચાડી ખાતી આ ટાંકીમાં પણ છેલ્લાં ચાર વર્ષથી એક પણ ટીપું પાણી પડ્યું નથી.
કપરાડા વિસ્તારમાં જે દ્રશ્યો જોવાં મળ્યાં તે ગુજરાતનાં વિકાસ મોડલની પોલ ખોલી રહ્યાં હતાં. આ મામલે કપરાડાનાં મામલતદાર સાહેબે પણ પાણીની તંગીની વરવી વાસ્તવિકતા સ્વીકારી. રાજ્યનાં વનમંત્રી રમણ પાટકર પણ એક આદિવાસી વિસ્તારમાંથી આવે છે ત્યારે ડુંગરાળ અને જંગલ વિસ્તારનાં આદિવાસી લોકોની પાણીની સમસ્યા અંગે તેમને પૂછતા તેમણે કહ્યું કે અમે ટેન્કરથી પાણી પૂરું પાડી રહ્યાં છે.
વાહ મંત્રીજી વાહ. તમારી નિગાહ અહીં રહેલી છે. તેમ છતાં આ પ્રદેશ તરસ્યો કેમ છે? ગુજરાતનાં ચેરાપુંજી ગણાતા આ પ્રદેશને પાણી માટે આજે વલખાં કેમ મારવા પડે છે? જ્યાં ચોમાસામાં સો-સો ઈંચ વરસાદ થાય છે તેમ છતાં કેમ આ પ્રદેશને પાણી માટે ટળવળવું પડે છે? જો કે, આ બધી સમસ્યા વચ્ચે એક આશા હજુ જરૂર છુપાઈ છે. થોડાંક સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આસ્ટોલ પાણી જૂથ યોજનાનો શિલાન્યાસ કરાયો હતો. આ યોજના થકી ડુંગરાળ વિસ્તારનાં ગામોમાં પાણી મળવાની શક્યતા છે. જો આ યોજના જલ્દી પૂરી થાય તો કપરાડા વિસ્તારની કપરી પાણી તંગી હળવી બને તેમ છે. પરંતુ યોજના તો જ્યારે પૂરી થાય ત્યારે બાકી ત્યાં સુધી તો આ વિસ્તારે પાણીની હાલાંકી ભોગવ્યે જ છુટકો.