લોકસભા ચૂંટણીમાં વિજેતા થવા માટે રાજકીય પક્ષોનું પ્રચારઅભિયાન તેજ બની ગયું છે. લોકસંપર્ક અને પ્રચારમાં દબંગ નેતાઓએ પણ મીઠીવાણીથી જનતાના મન હરવાની કવાયત કરવી પડે છે. આ કવાયતમાં જો ક્યારેક કોઈની જીભ લપશે તો જનતા માફ પણ કરી દે છે.
વડોદરા: લોકસભા ચૂંટણીમાં વિજેતા થવા માટે રાજકીય પક્ષોનું પ્રચારઅભિયાન તેજ બની ગયું છે. લોકસંપર્ક અને પ્રચારમાં દબંગ નેતાઓએ પણ મીઠીવાણીથી જનતાના મન હરવાની કવાયત કરવી પડે છે. આ કવાયતમાં જો ક્યારેક કોઈની જીભ લપશે તો જનતા માફ પણ કરી દે છે.
પરંતુ પ્રજા માટે કડવા વેણ ઉચ્ચારનાર નેતાને જનતા ક્યારેય માફ નથી કરતી. કદાચ આ અનુભવ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને નહીં થયો હોય. પરંતુ કદાચ હવે થશે. કેમકે તેમણે જેની પાસેથી મત લેવાના છે તેવી જનતાને જ ઠેકાણે પાડી દેવાની ધમકી ઉચ્ચારી છે. દબંગછાપ નેતાએ એવું તે શું કહ્યું કે હવે ભાજપ પર હુમલો કરવાનો વિપક્ષને મુદ્દો મળી ગયો અને જનતાને ઠેકાણું મળી ગયું.
રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચારયુદ્ધ તેજ થઈ ગયું છે. નેતાઓ કોઈ પણ ભોગે પ્રજાને મનાવામાં લાગ્યા છે. લોકોમાં હાલ એટલી જાગૃતિ જોવા મળી રહી છે કે નેતાઓએ પણ ભૂતકાળના ભૂલેલા વાયદાઓની સ્વીકૃતિ કરવી પડી રહી છે અને ભવિષ્યના સોનેરી સપના દેખાડવામાં સાવચેતી વર્તવી પડી રહી છે.
તો પણ પોતાના નેતાઓને સાંભળવા અને નાગરિકોને તેઓ ભવિષ્યમાં ક્યાં લઈ જવા માગે છે તે જાણવા ભીડમાં ઉમટી રહ્યા છે. અત્યાર સુધી પ્રચારઅભિયાનમાં બધું સમૂસુતરું ચાલી રહ્યું હતું ત્યાં જ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક નિવેદનથી રાજકીય વિવાદના તાર છેડી દીધા છે.
વાઘોડિયા વિસ્તારમાં એક સભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારો અને નાગરિકોને ખુલ્લેઆમ ધમકી આપીને ભાજપ માટે મતની માગણી કરી. એટલું જ નહીં જો લોકો ભાજપને મત નહીં આપે તો ઠેકાણે પાડી દેવાની ધમકી આપી. તમે પણ જુઓ એક જનપ્રતિનિધિની દબંગાઈભરી આ રીતભાત
જોયાને તમે એક લોકશાહી દેશમાં દબંગ જનપ્રતિનિધિના તાનાશાહી તેવર. વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે પોતાના મતક્ષેત્રમાં જનતાની કેવી અને કેટલી સેવા કરી છે એ જનતા તો જાણે જ છે સાથે તેમની પાર્ટી પણ જાણતી હશે. એટલે અનેક ટર્મથી ચૂંટાઈ આવવા છતાં મધુ શ્રીવાસ્તવ હજુ ધારાસભ્ય છે.
કદાચ તેમનો આ જ ઉકળાટ ચૂંટણી ટાણે મતદારો સામે વ્યક્ત થઈ રહ્યો છે. પરંતુ મધુશ્રીવાસ્તવના આ નિવેદન બાદ કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાનો મુદ્દો મળી ગયો. કોંગ્રેસે ભાજપ પર આરોપો મઢતાં કહી દીધું કે, ભાજપના લોકો ગુંડાગીરી અને ધમકીનો ઉપયોગ કરે છે.
મધુ શ્રીવાસ્તવ જે ભાષા બોલી રહ્યા છે તે ભાજપની ભાષા છે. જો કે, કોંગ્રેસના આકરા તેવરબાદ પણ ભાજપ આ મુદ્દે આક્રમક અંદાજમાં આવી શકે તેવી કોઈ તક રહી નથી કેમ કે મુદ્દો સંવેદનશીલ છે. કેમકે ભાજપ જનતા જનાર્દનની નારાજગી નો ભોગ બનવા માગતી નથી. એટલે ભાજપે પણ નાડ પારખીને પારખીને ધીમાં સૂરે પોતાના ધારસભ્યને ઠપકો આપ્યો અને કોંગ્રેસ આ મુદ્દે આક્રમક ન બને તેની સાવચેતી રાખી.
સળગતા સવાલ
ભલે નેતાઓ ધમકીભરી ભાષા અંગે કંઈ પણ સફાઈ આપે પરંતુ લોકશાહીના પર્વ પહેલા જનતાને મળેલી ધમકીથી એ સવાલો તો ઊભા થાય જ છે કેશું જનતા મત નહીં આપે તો ઠેકાણે પાડી દેશો? આ મોતની ધમકી નથી તો બીજું શું છે? શું હવે ભાજપ લોકોને ધમકાવીને મત મેળવશે ? ધારાસભ્ય કેમ સડકછાપ ગુંડાની ભાષા બોલે છે ?
શું મત લેવા માટે ગરીબો પર દબાણ કરશો ? ગેરકાયદેસર રહે છે તો અત્યાર સુધી કેમ ન કરી કાર્યવાહી? ગરીબોની ભૂલને તમે મતમાં પરિવર્તીત કરવા માગો છો? શું મધુ શ્રીવાસ્તવ ગરીબ લોકોને ધમકાવીને ચૂંટણી જીતવા માગે છે ? લોકશાહીની વાતો કરનાર ભાજપ આવા નેતા સામે પગલા લેશે ?
શું મધુ શ્રીવાસ્તવ સ્વસ્થ ચૂંટણી પ્રક્રિયામાં અડચણ બની રહ્યા છે ? શું ચૂંટણી પંચ આવી દાદાગીરી કરનારા નેતાઓ સામે પગલા ભરશે ? આવા સવાલના જવાબ ન મળે ત્યાં સુધી સવાલ સળગતા જ રહેવાના.