દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં રવિવારે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હિંસક દેખાવકારોએ 3 બસોને સળગાવી દીધી, કેટલાક વાહનોમાં તોડફોડ કરી. હિંસક પ્રદર્શનકારીઓએ આગ ઓલવવા આવેલી ગાડીઓને પણ ન છોડી, એક ગાડીને ખરાબ રીતે નુકશાન પહોંચાડ્યું.
નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
હિંસક દેખાવકારોએ 3 બસોને સળગાવી દીધી, કેટલાક વાહનોનો તોડફોડ કરી
હિંસા માટે બીજેપી-આમ આદમી પાર્ટીએ એકબીજા પર લગાવ્યા આરોપ
ત્યારે આ મામલે રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. બીજેપીએ આ હિંસા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ, દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ બીજેપી પર હારના ડરથી દિલ્હીમાં આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલના ઇશારા પર આપ ધારાસભ્યે ભડકાવી હિંસા :મનોજ તિવારી
દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસા માટે સીએમ અરવિંદ કેજરીવાલને જવાબદાર ગણાવ્યા છે. તિવારીએ વિરોધ પ્રદર્શનનો એક વીડિયો પણ ટ્વિટ કર્યો જેમા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પ્રદર્શનકારીઓને સંબોધિત કરી રહ્યા છે. બીજેપી નેતાએ આરોપ લગાવ્યો કે, કેજરીવાલના ઇશારે અમાનતુલ્લા ખાને પ્રદર્શનકારીઓને ભડકાવ્યા.
હારના ડરથી બીજેપી લગાવી રહી છે આગ : સિસોદિયા
આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ બીજેપી પર હુમલો બોલતા કહ્યું કે તેઓ ચૂંટણીમાં હારના ડરથી દિલ્હીમાં આગ લગાવી રહ્યા છે. સિસોદિયાએ ટ્વિટ કર્યું, ચૂંટણીમાં હારના ડરથી બીજેપી દિલ્હીમાં આગ લગાવી રહી છે. આમ આદમી પાર્ટી કોઇપણ પ્રકારની હિંસાની વિરુદ્ધ છે. આ બીજેપીની છીછરી રાજનીતી છે. આ વીડિયોમાં જુઓ કે કેવી રીતે પોલીસના સરક્ષણમાં આગ લગાવાઇ રહી છે.
દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિની અપીલ કરી છે. તેઓએ ટ્વિટ કર્યું કે, કોઇએ પણ હિંસામાં સામેલ ન થવું જોઇએ. કોઇપણ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ હોવું જોઇએ.