ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને આમ આદમી પાર્ટીના પૂર્વ દિગ્ગજ નેતા વિજય સુવાળા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે સામેલ થયા છે.
ગાયક કલાકાર વિજય સુવાળા સત્તાવાર ભાજપમાં જોડાયા
સી.આર. પાટીલે ખેસ પહેરાવ્યો, દિગ્ગજો હાજર રહ્યા
પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છેઃ વિજય સુવાળા
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) એક મોટો આંચકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. વિજય સુંવાળા છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિખવાદના પગલે નારાજ હતાં જેને લઈને આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય થઈ ગયા હતાં. વિજય સુવાળાને CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.
પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છેઃ વિજય સુવાળા
આજ રોજ સૌ પ્રથમ એક ઉદાહરણ આપુ છું. પોતાના ઘરે પાછો આવ્યો છું. રાતનો ભૂલેલો સવારે ઘરે પાછો આવ્યો છું. આજનો માહોલ મારી જિંદગી માટે ખુબ અમુલ્ય છે. મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પાટિલના દિલમાં હું છું. પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું ગ્રાઉન્ડ પર ઉતરીશ. તન મન ધનથી ભાજપની સેવા કરીશ.
વિજય સુવાળાએ ઘરવાપસી કરીઃ સી.આર. પાટીલ
વિજય સુવાળા ભાજપમાં જોડાતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો એવો ભ્રમ ફેલાવે છે કે વિજય સુવાળાએ ભાજપમાં પ્રવેશ કર્યો, પરંતુ વિજય સુવાળાએ તો ઘરવાપસી કરી છે. વિજયએ પાર્ટીમાં પરત ફરવાનો પ્રસ્તાવ મુક્યો અને અમે આવકાર્યા.
મારી ઉંમર નાની છે, રાતનો ભૂલ્યો સવારે ઘરે આવ્યો છું: વિજય સુવાળા
VTV સાથેની વાતચીતમાં પૂર્વ આપ નેતા વિજય સુવાળાએ કમલમ જતા પહેલા કહ્યું કે, દરેક રાજકીય પક્ષની નીતિ અલગ હોય છે, પરંતુ કુટુંબનો કોઈ મોભી એક પક્ષમાં હોય તો દિકરા અને પરિવારે પણ એજ પાર્ટીમાં રહેવું જોઈએ. ત્યારે મારી ઉંમર નાની છે, રાતનો ભૂલેલો દિવસે ઘરે આવ્યો. સુવાળાએ કહ્યું કે, મેં કોઈ ઉતાવળમાં કાર્ય નથી કર્યું, સભાનતામાં રહીને મેં આત્મનિર્ણયો લીધા છે, મેં જે સમયે જે નિર્ણય લીધો તે રાઇટ જ હશે.
આજે મોટું શક્તિ પ્રદર્શન થઈ શકતું હતું પરંતુ કોરોનાને લઇને નથી થઇ શકેઃ સુવાળા
સુવાળાએ કહ્યું કે, મેં રાજીનામાની જાહેરાત કરી ત્યારે મારા 2000 સમર્થકોએ પણ મારી સાથે રાજીનામા આપ્યા હતા. હાલ અમારુ 2000 યુથનું આ ગ્રુપ સેવાકીય કાર્યો કરે છે. કોરોના ગાઇડલાઇનને લઇને 150થી વધુ લોકોને લઇ નથી લઇ જવાના નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન થઇ શકતું હતું. મારી સાથે 5000 લોકસેવકો અને કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાશે.