અમિતાભ બચ્ચનની એક બાદ એક હિટ ફિલ્મો આવી રહી હતી તે સમયે કુલી ફિલ્મના શૂટિંગ સમયે તેમને એક અકસ્માત નડ્યો હતો. ત્યાર બાદ તેઓ હોસ્પિટલાઇઝ થયા હતા. ત્યારે તેમને એક ગુજરાતીએ રક્તદાન કર્યું હતું.
અમિતાભ બચ્ચન બ્રિચકેન્ડી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હતા. અમિતાભ બચ્ચનને લોહી ચડાવવાની જરૂર હતી. તે સમયે સુરતના વેલજીભાઇ મોહનભાઇ શેલિયાએ રક્તદાન કર્યું હતું. આ વેલજીભાઇનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે.
મહત્વનું છે કે, અમિતભ બચ્ચનને જ્યારે લોહી ચડાવવાની જરૂરીયાત હતી ત્યારે રાજકોટ વોલન્ટરી બ્લડબેંક અને રિસર્ચ સેન્ટરને જાણ કરવામાં આવી હતી. વેલજીભાઇ આ બ્લડ બેંકના સભ્ય હતા અને તેઓ લોહી લઇને મુંબઇ ગયા હતા. ત્યારે અમિતાભ બચ્ચનને વધુ લોહીની જરૂર હોવાથી વેલજીભાઇએ બ્રિચકેન્ડીમાં પણ રક્તદાન કર્યું હતું. જોકે 71 વર્ષમાં તેમણે અમિતાભ બચ્ચનને જ નહીં પરંતુ 128 વખત રક્તદાન કર્યું હતું.
ખેડૂત વેલજીભાઇનું સુગર ઘટી જતા અવસાન
વેલજીભાઇ રાજકોટના જસદણ તાલુકાના આટકોટમાં રહેવાસી હતા અને ખેડૂત હતા. ખેતીવાડીની સાથે તેઓ સમાજ સેવા પણ કરતા હતા. તંદુરસ્ત જીવન જીવતા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોમાં તેમનું સુગર ઘટી જતા તેઓ કોમામાં જતા રહ્યા હતા. બાદમાં તેમને રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
સમાજ સેવાનો પહેલેથી શોખ
વેલજીભાઇના બે દિકરાઓ સુરત રહે છે. જેમણે જણાવ્યું હતું કે, અમારા પિતાને સેવાકાર્યનો પહેલેથી શોખ હતો. તેઓ ઓલ્ડ એસએસસી ભણેલા હતા અને ગામમાં ભણેલા તરીકે છાપ હતી. લોકોના કોઇપણ કામમાં ગમે ત્યારે દોડી જતા હતા. પોતાના કામ છોડીને સેવામાં લાગી જતા હતા.
તેઓ ક્યારેય અમિતાભ બચ્ચને મળ્યાં ન હતાં
વેલજીભાઇ અમિતાભ બચ્ચનનો જીવ બચાવ્યો હતો પરંતુ તેઓ ક્યારે અમિતાભ બચ્ચનને મળ્યા ન હતા. જોકે તેઓ અમિતાભ બચ્ચન કે કોઇ બીજા કલાકારની પણ ફિલ્મ નહોતા જોતા. જ્યારે વેલજીભાઇને સામેથી અમિતાભ બચ્ચને બોલાવ્યા તો તેમણે ત્યાં જવાના બદલે રક્તદાન અને સામાજિક સેવામાં સમય ફાળવ્યો હતો.
જયા બચ્ચને વેલજીભાઇનું સન્માન કર્યું હતું
એક સમયે ટીના મુનિમ અંબાણી અને જયા બચ્ચન સહિતના બોલિવુડ સ્ટાર રાજકોટ આવ્યા હતા ત્યારે તેમનું જાહેર મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું. સાથે તેમને સોનાની ગીન્ની આપવામાં આવી હતી.