વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થિત આયોજન કરી લેવાયું છે. આ આયોજનમાં જન સ્થળાંતરથી માંડી બચાવ કાર્ય અને રાહત સામગ્રી સહિતને લઈને તંત્રએ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી મુજબ વાયુ વાવાઝોડાને લઈને મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. જેમાં ભુપેન્દ્રસિંહને ગીર સોમનાથની જવાબદારી સોંપવામાં આવી છે. તો વિભાવરીબેનને ભાવનગરની જવાબદારી સોંપાઈ છે. જ્યારે જયેશ રાદડિયાને પોરબંદરમાં બચાવ રાહતની જવાબદારી સોંપવામાં આવી છે. તો દિલીપ ઠાકોરને કચ્છ અને સૌરભ પટેલને રાજકોટની જવાબદારી સોંપાઈ છે.
CM રૂપાણીએ જનતાને કરી અપીલ
સંભવિત વાયુ વાવાઝોડાને લઈને CM રૂપાણીએ જનતાને અપીલ કરી છે. જેમાં તેમણે વાવાઝોડાને લઈને તંત્ર બધી રીતે સજ્જ હોવાની વાત કરી છે. તો શાળાઓ બંધ રાખવા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા સલાહ આપી છે.
Conducted a review meeting with officials on preparedness in view of #VayuCyclone forecast. Instructed them to leave no stone unturned to counter any adverse situation. People are advised to follow the instructions issued by the administration from time to time and cooperate. pic.twitter.com/RmW9TrU5Lo
તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસે ગયેલા પ્રવાસીઓને જોખમી સ્થળો પર મુસાફરી નહી કરવા અને સલામત સ્થળે પહોંચવા વિનંતી કરી છે. આ ઉપરાંત મંદિરો, NGO અને સામાજિક સંસ્થાઓને અસરગ્રસ્તોને સહાય કરવા માટે CMએ અપીલ કરી છે.
કોસ્ટગાર્ડ અલર્ટ
વાયુ વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ અલર્ટ બન્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં રહેલી બધી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. દરિયામાં કરંટને પગલે 2 બોટ બાકી છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. કોસ્ટગાર્ડનું કહેવું છે કે, સોમનાથના દરિયાકાંઠે વાવાઝોડાની વધુ અસર થશે. જેને લઈને તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે.
શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર
સીએમએ કહ્યું કે, રાજ્યમાં શાળા-કોલેજ, આંગણવાડીઓમાં રજા રહેશે. શાળા પ્રવેશોત્સવ રદ કરાયો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં 13થી 15 જૂન સુધી ત્રણ દિવસ પ્રવેશોત્સવ રદ્ કરાયો છે. જ્યારે 10 જિલ્લાઓમાં 13 અને 14 જૂન સુધી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં ગીરસોમનાથ, કચ્છ, અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં શાળાઓ બે દિવસ બંધ રહેશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ
તેમણે જણાવ્યું કે, આ વાવાઝોડામાં રાજ્યના 60 લાખ લોકોને વાવાઝોડાની અસર થશે. રાજ્યના 400 ગામડામાં વાવાઝોડાની અસર થઈ શકે છે. વાવાઝોડાથી સૌરાષ્ટ્રના 10 જિલ્લા અને 31 તાલુકામાં વ્યાપક અસર થશે. વાવાઝોડા દરમિયાન વીજલાઈનને અસર થઈ શકે છે. લોકોના સ્થળાંતર માટે ST બસને ઉપયોગમાં લેવાશે. સરકારી ઈમારતો અને ટ્રસ્ટોની બિલ્ડીંગોમાં અસરગ્રસ્તોને રખાશે. આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગને કામે લગાડાયા.
NDRF સહિતની ટીમો તૈનાત
NDRFની ટીમોને તૈનાત કરાઇ છે. ત્યારે તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસની SDRFની 10 ટીમો તૈનાત કરાઇ છે. આર્મીની 10 ટીમ તૈનાત કરાઈ છે. આર્મીની 23 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. કચ્છમાં બચાવ કાર્ય માટે BSFની 2 ટીમ તૈનાત કરાઇ છે.
માછીમારોને દરિયો ન ખેડવા સલાહ
સરકાર દ્વારા દરિયાકાંઠાના માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયો ન ખેડવા જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. 13 જૂને 1થી 1.5 મીટર સુધી મોજા ઉછળવાની સંભાવના છે.
ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક
રાજયમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે વાવાઝોડાને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક યોજવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી. જેમાં ગૃહ મંત્રાલય અને સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા. તેમજ વાયુ વાવાઝોડાને લઇ સંબંધિત વિભાગોની કામગીરીની સમીક્ષા કરી.
રાજ્યમાં વરસાદની શરૂઆત
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડુ ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. રાજ્યના છોટાઉદેપુર, સંઘપ્રદેશ દમણ, વલસાડ, કપરાડા, વાપી, નાનાપોન્ડા, ઉમરાગામ, તાપી, વ્યારા, ડાંગ, વાસંદા, સુરત, કીમ સહિતના પ્રદેશોમાં વરસાદ શરૂ થઇ ચૂક્યો છે.