મધ્યપ્રદેશમાં રાજનીતિનાં મહાભારત બાદ આખરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજીનામું આપી દીધું. તે ખૂબ જલ્દી ભાજપમાં સામેલ પણ થઇ શકે છે. પીએમ મોદી સાથે મુલાકાત બાદ તેમણે સોનિયા ગાંધીને રાજીનામું સોપ્યું. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સાથે સિંધિયાની મુલાકાત કરાવવામાં સિંધિયાનાં સાસરી પક્ષ વડોદરાનાં રાજપરિવારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વડોદરાનાં રાજપરિવારે મોદી અને સિંધિયા વચ્ચે કરી મધ્યસ્થતા
વડોદરાનાં ગાયકવાડ રાજવી પરિવારનાં જમાઈ છે જ્યોતિરાદિત્ય સિંધિયા
સિંધિયાને કેન્દ્રિય મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન
જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે કોંગ્રેસમાંથી 20 જેટલા ધારાભ્સ્યોએ પણ રાજનામું આપી દીધું છે. સાંજ સુધીમાં જ્યોતિરાદિત્ય ભાજપમાં જોડાય તેવી સંભાવના છે ત્યારે એક જાણકારી અનુસાર સિંધિયાને ભાજપમાં સામેલ કરાવવામાં વડોદરાનાં રાજપરિવારે મહત્વની ભૂમિકા ભજવી.
હવે જયારે મધ્યપ્રદેશમાં રાજનીતિક ખેંચતાણ ચાલી રહી છે ત્યારે સામે આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સિંધિયાની મુલાકાત કરાવવામાં વડોદરાનાં મહારાણીની મહત્વની ભૂમિકા રહી.
સિંધિયા રાજપરિવારનો વડોદરા પરિવાર સાથે ખાસ નાતો છે. ગ્વાલિયરમાં રાજપરિવારની ગાદી સંભાળતા જ્યોતિરાદિત્ય સિંધિયા વડોદરા રાજપરિવારના જમાઈ છે. વડોદરાનાં સંગ્રામ સિંહ ગાયકવાડનાં દીકરી પ્રિયદર્શીની રાજે ગાયકવાડ સાથે જ્યોતિરાદિત્યનાં લગ્ન થયા છે. વર્ષ 1994માં બંનેનાં લગ્ન થયા હતા અને તેમને બે સંતાનો છે.
મધ્યપ્રદેશમાં કમલનાથનાં મુખ્યમંત્રી બન્યા બાદથી સિંધિયાનાં મનમાં કંઇક ચાલી રહ્યું હતું ત્યારે તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ ન બનાવતા આગમાં ઘીનું કામ કર્યું. ભાજપ સિંધિયાની નારાજગીનો ફાયદો ઉઠાવી સરકાર ઉથલાવવાની તાકમાં બેઠું હતું ત્યાં નારાજ સિંધિયા અને નરેન્દ્ર મોદી વચ્ચે મધ્યસ્થતા વડોદરાનાં રાજપરિવારે કરી. વડોદરા રાજપરિવારનાં મહારાણીએ જ સિંધિયાને ભાજપ સાથે સંપર્ક કરવવા તૈયાર કર્યા.
સિંધિયા હવે કોંગ્રેસમાં ભડકો કરીને ભાજપમાં સામેલ થાય ત્યારે તેમને મોદી કેબીનેટમાં મોટા મંત્રીનું પદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.