આસમના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમિયાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુની અંતિમ યાત્રા નિકળી હતી. જવાનની પત્નીએ શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી.
શહીદ જવાનનો પાર્થિવ દેહ ગોરવા સ્થિત ઘરે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. શહિદ જવાનની અંતિમયાત્રા ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળીને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહમાં અંતિમસંસ્કાર કરાશે.
શહીદ થયેલા જવાન સંજય સાધુ શનિવારની રાત્રે બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને પશુની તસ્કરી થઇ રહી હોવાના સમાચાર મળતા તેઓ દોડ્યા હતા. તે સમયે પગ લપસી જતા તેઓ નાળામાં પડી જતા શહીદ થયા હતા. સંજય સાધુ 9 વર્ષ પહેલા બીએસએફમાં જોડાયા હતા. તેમનું પીએસઆઇમાંથી પીઆઇ તરીકે પ્રમોશન થયું હતું. તેઓ હાલ બાંગ્લાદેશની બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમયે પશુધનની તસ્કીર મોટાપાયે થતી હોવાના કારણે તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ શહીદ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા સમયગાળામાં જ વડોદરાનો બીજો જવાન શહીદ થયો છે. આ અગાઉ આરીફ પઠાણ અખનુર સેક્ટરમાં પાકિસ્તાન સાથે અથડામણમાં ગોળી વાગતા તેઓ શહીદ થયા હતા. ત્યારે આ બીજી ઘટના બનતા સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઇ જવા પામી છે.