ઉત્તરાયણને હવે થોડા દિવસો બાકી છે ત્યારે ગુજરાત સરકારે આ તહેવારને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં મકાન-ફ્લેટ કે પછી સોસાયટીના મેદાનમાં કે ધાબા પર સ્થાનિક રહીશો સિવાય અન્ય કોઇપણ વ્યક્તિ કે મહેમાનને પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. જો આ નિયમનો ભંગ થશે તો તેના માટે સોસાયટીના પ્રમુખ કે અધિકૃત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરાશે. તેવામાં હવે આ નિર્ણયને લઇને ગુજરાતના શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીના ચેરમેનોનો માથાનો દુઃખાવો વધ્યો છે. તેથી હવે કેટલીક જગ્યાએ ઓડ-ઇવન પદ્ધતિથી ધાબા પર પતંગ ચગાવવા માટે પ્લાનિંગ કરી રહ્યાં છે.
ઉતરાયણ પહેલા પતંગ રસિયાઓએ તૈયારી શરૂ કરી
સરકારની ગાઇડલાઇનથી શહેરીજનોમાં રોષ
ગાઇડલાઈન મુજબ બે દિવસનું પ્લાનિંગ કરાશે
સરકારની ગાઇડલાઇનથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો સિવાય અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે. સોસાયટીના પ્રમુખો કહી રહ્યા છે કે, અમે ચોકીદાર થોડા છીએ કે બધાના ઘરે-ઘરે જઇને જોઇએ કે મહેમાન આવ્યા છે કે નહીં. તો એક સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે, મારે પણ પરિવાર છે. હું ચોકીદાર નથી કે બધે નજર રાખું કે સોસાયટીમાં કોણ આવ્યું છે. જાહેરનામામાં પરિવારના જ સભ્યો સાથે જ ઉત્તરાયણ ઉજવવાનું જણાવાયું છે.
તો બીજી તરફ શહેરોમાં ગાઇડલાઇન મુજબ બે દિવસનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ફ્લેટમાં ઘરના મેમ્બર્સ જ હાજર રહેશે સોસાયટી, ફ્લેટમાં બહારના વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ત્યારે હવે શહેરીજનો દ્વારા ફ્લેટમાં પણ જે લોકો હાજર રહેશે તેમના નામ પણ રજીસ્ટ્રેશન કરીને ઓડ-ઇવન મુજબ બે દિવસનું પ્લાનિંગ કરવામાં આવશે. સરકારની ગાઇડલાઈન મુજબ ઉતરાયણ મનાવવા શહેરીજનોએ તૈયારીઓ શરુ કરી છે. આ હેઠળ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગની ગાઇડલાઇન્સ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
લોકો કરી રહ્યા છે પતંગ-દોરીની ખરીદી
તો બીજી તરફ પતંગ ખરીદી કરવા પતંગ રસિયાઓ ઉમટ્યા છે. વર્ષ 2021નો પ્રથમ તહેવાર માનવવા શહેરીજનોની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. અમદાવાદના રાયપુર માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો છે. લોકો ગોગલ્સ, દોરી, પતંગ, ફેસ માસ્કની ખરીદી કરી રહ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા તેના માટેની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી હતી.
ઉત્તરાયણની ગાઈડલાઈનને લઈને સરકારે ગઇકાલે હાઈકોર્ટમાં રજૂ કર્યો જવાબ
ઉત્તરાયણ પર રોક લગાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે તેની પર રોક લગાવવાની અરજીના વિરોધમાં વેપારીઓએ પણ અરજી કરી હતી. ત્યારબાદ ઉત્તરાયણની ઉજવણીને લઇને હાઇકોર્ટમાં અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ મુદ્દે રાજ્ય સરકારે ગઇકાલે હાઈકોર્ટમાં જવાબ આપતા કહ્યું હતું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. હાઈકોર્ટે સરકારની ગાઈડલાઈનને મંજૂર રાખી હતી.
ઉતરાયણ માટેની સરકારની ગાઈડલાઈન
જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં કે પતંગ ચગાવી શકાશે નહીં.
સરકારની સલાહઃ પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું પાલન કરીને તહેવારની ઉજવણી કરવામાં આવે.
સરકારની સલાહઃ 65 વર્ષ કરતા વધુ ઉંમરની સાથે કોમોરિબિડિટીઝ ધરાવતા તેમજ બાળકોને ઘરે રહે.
માસ્ક વગર બિલ્ડિંગ કે ફ્લેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે.
બિલ્ડિંગના રહેવાસીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને ફ્લેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા નહીં થવા દેવાય.
ધાબાની સાઈઝ અલગ-અલગ હોવાના કારણે ધાબા પર કેટલા વ્યક્તિ રહી શકે તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ શકે તેમ નથી.
લાઉડ સ્પીકર્સ અને મ્યૂઝિક વગાડી શકાશે નહીં.
1.25 લાખ પરિવારો પતંગ બનાવવાના વ્યવસાયમાં છે તેથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂકીને આવા પરિવારોને અસર પહોંચાડી શકાય નહીં.
ચાઈનિઝ તુક્કલ અને દોરી પર પ્રતિંબધ છે, સાથે જે દોરીમાં કાચનો ઉપયોગ કરવો નહીં, આ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું.
પતંગની ખરીદી કરવા જાઓ ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ પોલીસને સહયોગ આપવો.
તો અગાઉની ગાઈડલાઈન મુજબના કોરોનાના તમામ નિયમો પાલન કરવાનું રહેશે.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયો છે તેનો અમલ કરવાનો રહેશે.
ચોક્કસ અમલીકરણ માટે પોલીસ ગોઠવાશે, સીસીટીવીથી નજર રખાશે તેમજ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે.