અમદાવાદના ઠક્કરબાપા નગર વિસ્તારમાં આવેલી એક શાળામાંથી ધોરણ-9નો વિદ્યાર્થી ગુમ થઈ જતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીના પરિવારે શિક્ષકના ઠપકા બાદ વિદ્યાર્થી ગુમ થયાનો આક્ષેપ લગાવ્યો છે.
શિક્ષકના ઠપકા બાદ વિદ્યાર્થી ગુમ થયાનો પરિવારનો આક્ષેપ
અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર વિદ્યા વિહાર સ્કૂલમાંથી ધોરણ-9માં અભ્યાસ કરતો માનવ નામનો વિદ્યાર્થી ગઈકાલ ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. 24 કલાક સુધી બાળકની શોધખોળ કરાયા બાદ તેની કોઈ ભાળ ન મળતા આજે પરિવારજનો સ્કૂલમાં પૂછપરછ માટે પહોંચ્યા હતા. સ્કૂલના વહીવટી તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવતા વાલી અને સગા-સંબંધીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. ગઈકાલથી ગુમ થયેલા વિદ્યાર્થીના પરિવારે શિક્ષકના ઠપકા બાદ માનવ ગુમ થયાનો આક્ષેપ લગાવ્યો છે.
સ્કૂલ કોઈ જવાબદારી લેવા તૈયાર નથીઃ માતા
આ અંગે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા માનવની માતાએ જણાવ્યું કે, 'મારો છોકરો જે રીતે તમારી સ્કૂલમાં આવ્યો હતો, એવી રીતે જ મને મારો છોકરો જોઈએ છે. સ્કૂલ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. કાલે આખો દિવસ અને આખી રાત અમે તેની શોધખોળ કરી છતાં તેની કોઈ ભાળ મળી નથી.'
ઓફિસમાં બેસડવાની જગ્યાએ તેને બહાર કાઢી મૂક્યોઃ માતા
માતાએ જણાવ્યું કે, 'તેણે કોઈ વિદ્યાર્થીની સ્વાધ્યાયપોથી લીધી હતી અને તેણે કબૂલાત પણ કરી હતી કે ભૂલમાં આ સ્વાધ્યાયપોથી મારા પાસે આવી ગઈ છે. માનવે સ્કૂલની ઓફિસમાં કબૂલ કર્યું હતું કે મારાથી ભૂલમાં તે સ્વાધ્યાયપોથી આવી ગઈ છે, વાલી આવે ત્યાં સુધી તેને ઓફિસમાં બેસડવાની જગ્યાએ તેને બહાર કાઢી મૂક્યો. જેથી શિક્ષકના આ વર્તનના કારણે તેને માઠુ લાગી જતાં તે સ્કૂલમાંથી જતો રહ્યો.'
વાલીના ઠપકાની બીકે સ્કૂલમાંથી ચાલ્યો ગયો વિદ્યાર્થી: પ્રિન્સિપાલ
આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે, 'ધોરણ 9માં અભ્યાસ કરતા માનવ નામના વિદ્યાર્થી પાસેથી અન્ય વિદ્યાર્થીની સ્વાધ્યાયપોથી મળી આવી હતી. જેમાં વ્હાઈટનરથી ચેક-ચાક કરેલું હતું. ત્યારબાદ વિદ્યાર્થીના વાલીને સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થી વાલીના ઠપકાની બીકે સ્કૂલમાંથી ચાલ્યો ગયો છે.'
પોલીસે હાથ ધરી પૂછપરછ
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ રઘુવીર વિદ્યા વિહાર સ્કૂલ ખાતે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા વાલી અને સ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ કરવામાં આવી રહી છે.