ઉત્તર પ્રદેશના ઉન્નાવની રેપ પીડિતા (Unnao Rape Survivor) ત્રણ દિવસ પહેલા થયેલ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી છે. ગત રવિવારના રોજ થયેલ માર્ગ અકસ્માતમાં પીડિતાના પરિવારના 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા.
ભાજપના નેતા હોવાનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, આ તરફ આ મામલામાં નવો વળાંક આવ્યો છે. પોલીસ ફરિયાદમાં હવે આ મામલે ભાજપના એક નેતાના નામનો પણ ખુલાસો થયો છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં રેપ પીડિચાની કારને રોંગ સાઇડથી આવી રહેલા એક ટ્રકે ટક્કર મારી હતી. આ ટ્રકની નંબર પ્લેટ પણ નહોંતી. મામલાની તપાસ ગતરોજ કેન્દ્ર સરકારે CBI ને સોંપી છે.
બળાત્કાર પીડિતાના કાકા દ્વારા નોંધાવવામાં આવેલ FRI માં રેપના આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરને ઘટનાને જવાબદાર ગણાવ્યા છે. આ સાથે જ ફરિયાદમાં અન્ય એક ભાજપના નેતાને આ ઘટનામાં જવાબદાર ગણાવ્યા છે.
આરોપી નં-7 ભાજપનો નેતા
પીડિતાના કાકા તરફથી દાખલ કરવામાં આવેલ FIR માં આરોપી નંબર-7 અરૂણ સિંહ છે જે ભાજપ કાર્યકર્તા છે અને ઉન્નાવમાં એક બ્લોગના અધ્યક્ષ છે. અરૂણ સિંહ આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરની નજીકનો વ્યક્તિ છે. 2019 લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અરૂણ સિંહને ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉન્નાવથી ભાજપ સાંસદ સાક્ષી મહારાજ જેવા મોટા નેતાની સાથે તસવીરમાં જેવા મળ્યો છે.
અરૂણ સિંહ ઉત્તરપ્રદેશના મંત્રી રણવેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે ધુન્ની ભૈયાના જમાઇ છે. રણવેન્દ્ર પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં કૃષિ રાજ્યમંત્રી અને કૃષિ શિક્ષણ અને શોધ મંત્રી છે. રણવેન્દ્ર સિંહ ફતેહપુર જિલ્લાની એક બેઠકના ધારાસભ્ય છે.
કાર અકસ્માતની CBI ને સોંપાઇ તપાસ
ઉન્નાવ ગેંગરેપ (Unnao Case) પીડિતાના કાર અકસ્માત મામલે કેન્દ્ર સરકારે CBI ને તપાસ સોંપી છે. સોમવારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે સીબીઆઈ તપાસનું સુચન કેન્દ્ર સરકારને મોકલ્યું હતું અને પ્રદેશ સ્તરે તપાસ કરવા માટે SITની રચના કરી હતી.
જોકે, હવે કેન્દ્રએ સીબીઆઈ તપાસના આદેશ કરતા સીબીઆઈની ટીમ પહોંચતાની સાથે SIT સીબીઆઈને તપાસનો દોર સોંપી દેશે. આપને જણાવી દઈએ કે પીડિતા સાથે ગેંગરેપનો કેસ પહેલેથી સીબીઆઈ પાસે છે ત્યારે હવે તેના અકસ્માતની તપાસ પણ સીબીઆઈ કરશે.
અખિલેશે યાદવે હત્યાનો પ્રયાસ ગણાવ્યો
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે ગંભીર ઘટના થઈ છે. તેમણે આ ઘટના પાછળ પીડિતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. અખિલેશ યાદવે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
ઉન્નાવ દુષ્કર્મ મામલે બે મોત પહેલાં જ થઈ ચૂક્યા છે. પીડિતાના પિતાનું જેલમાં જ એપ્રિલ 2018માં એક હુમલા પછી મોત થઈ ગયું છે. આ હુમલાના સાક્ષીનું ઓગસ્ટ 2018માં શંકાસ્પદ રીતે મોત થઈ ગયું છે.