રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનાથી પણ વધુ સમય થઇ ગયો છે. ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે, આ યુદ્ધમાં ઓછાંમાં ઓછાં 1035 લોકોનાં મોત થયા છે.
રશિયા-યુક્રેનનાં યુદ્ધને એક મહિના જેટલો સમય વીતી ગયો
યુદ્ધમાં ઓછાંમાં ઓછાં 1035નાં મોત, 1650 લોકો ઘાયલ
યુદ્ધમાં સાડા સાત લાખ લોકો બન્યા બેઘર
રશિયાના હુમલા બાદ યુક્રેનના શહેરોમાં માત્ર વિનાશનાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ચારે બાજુ લાશોના ઢગલા અને ઈમારતોના કાટમાળ એવો મેસેજ આપી રહ્યાં છે કે, યુદ્ધથી કોઈને પણ ફાયદો થતો નથી. રશિયા-યુક્રેન યુદ્ધમાં સતત તબાહીની વાર્તાઓ લખાઈ રહી છે. જેમાં કહી શકાય કે, અનેક મોટા-મોટા શહેરો આ યુદ્ધમાં નાશ પામ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, છેલ્લાં એક મહિનાથી ચાલતા આ યુદ્ધમાં ઓછામાં ઓછાં 1,035 લોકો માર્યા ગયા છે અને 1,650 લોકો ઘાયલ થયા છે.
મૃત્યુના ખોળામાં સૂનારા લોકોમાં બાળકો પણ સામેલ
બંને દેશોના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોમાં બાળકોની સંખ્યા પણ વધારે છે. આ હુમલામાં લગભગ 90 બાળકો માર્યા ગયા છે. યુએન હ્યુમન રાઇટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "દક્ષિણ બાજુના શહેર મારિયુપોલ સહિત તીવ્ર દુશ્મનાવટવાળાં વિસ્તારોમાં રિપોર્ટિંગમાં આવતા વિલંબનાં કારણે સચોટ આંકડાઓ બદલાશે તેવું માનવામાં આવે છે." જો કે, તમને જણાવી દઇએ કે, યુક્રેનની સેનાએ એવો દાવો કર્યો છે કે, 'રશિયા 9 મે સુધીમાં યુદ્ધ ખતમ કરવા ઇચ્છે છે.'
સાડા સાત લાખ લોકો બન્યા બેઘર
યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) એ એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે, 4.3 મિલિયન બાળકો ઘરવિહોણાં થઈ ગયા છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પોતાના ઘરોમાં શરણાર્થીઓ તરીકે ભટકતા હોય છે તે સંખ્યા યુક્રેનમાં 7.5 મિલિયનમાંથી અડધી છે. તેમાંથી 1.8 મિલિયનથી વધુ વિદેશ ભાગી ગયા છે.
યુક્રેન લડાઈને ચાલુ રાખવા માટે પશ્ચિમ પર નિર્ભર
હકીકતમાં, યુક્રેનને રશિયા સાથે યુદ્ધ ચાલુ રાખવા માટે પશ્ચિમી દેશો અથવા તો એમ પણ કહી શકાય કે NATO દેશો પર નિર્ભર રહેવું પડશે. નાટો દેશો મર્યાદિત માત્રામાં શસ્ત્રો સપ્લાય કરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ ગુરુવારે નાટો સમિટમાં યુક્રેનને પર્યાપ્ત શસ્ત્રો પૂરા પાડવા માટે દબાણ કર્યું હતું. ઝેલેન્સ્કીએ ઇમરજન્સી નાટો સમિટ અને G7 નેતાઓની મીટિંગને વીડિયો લિંક દ્વારા સંબોધી હતી. તેઓએ કહ્યું કે, પશ્ચિમી દેશોએ અમને રશિયાના હુમલાઓથી બચવા તેમજ યુક્રેનવાસીઓનાં મોતને રોકવા માટે તમામ જરૂરી શસ્ત્રો પ્રદાન કરવા જોઈએ.