કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગઠબંધનથી સરકાર બનાવવાનું મુશ્કેલ હોવાનું નિવેદન કર્યું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત માટે ગઠબંધન સરકાર ચલાવવું મુશ્કેલ હોવાની વાત કરી છે. ગઠબંધનના સભ્યોને એકજુટ રાખવા એક મોટો પડકાર છે. અહીંના ધારાસભ્યોએ પક્ષ-પલટાના મામલે દેશના તમામ રેકોર્ડ તોડી દીધા છે.
ગડકરીએ પણજી બેઠક પર થનારી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સિદ્ધાર્થ કુંકોલિંકરના સમર્થનમાં સભા કરી હતી. આ બેઠક મનોહર પર્રિકરના નિધન બાદથી ખાલી હતી. અહીં 19 મેનાં રોજ મતદાન થવાનું છે. ગડકરીએ કહ્યું કે, ભવિષ્યમાં ગોવાના વિકાસ માટે સ્થાયી સરકાર હોવી જરૂરી છે.
ગડકરીના મત મુજબ, જો પર્રિકરના વિઝનને આગળ લઈ જવાની વાત કરીએ તો મુખ્યમંત્રી સાવંતની આગળની યાત્રા આસાન નહીં હોય. તેમના માટે સહયોગીઓને સાથે લઈને ચાલવું મોટો પડકાર હશે. જો રાજ્યમાં અસ્થિરતા રહેશે તો વિકાસની ગતિ પર અસર પડશે. ત્યારે પેટાચૂંટણીનો સરકારના સ્થાયિત્વ સાથે સીધો સંબંધ છે. રાજ્યની પોતીની એક સાંસ્કૃતિક અને બૌદ્ધિક ઓળખ છે તેમ છતાં અહીં ધારાસભ્યો તોડવા તે સામાન્ય વાત છે. મને લાગે છે કે ગોવામાં અમેરિકાની અસર છે. અમેરિકામાં લગ્ન નથી થતા, સંબંધોને લઈને તેઓ આડાઅવળા થતા હોય છે. તેઓ હંમેશા હરિયાળીની તપાસમાં હોય છે. આવું જ ગોવાના ધારાસભ્યો કરે છે.
ગડકરીએ પૂર્વ મુખ્યમંત્રીના પર્રિકરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, પર્રિકરે મોટી કુરબાની આપી હતી. તેઓ રક્ષા મંત્રીનું પદ છોડીને રાજ્યના લોકો માટે મુખ્યમંત્રી બન્યાં. હું વ્યક્તિગત રીતે ઈચ્છતો ન હતો કે, તેઓ ગોવાના રાજકારણમાં પરત ફરે, પરંતુ ગોવા તેમના દિલમાં હતું. તેઓ હંમેશા પોતાના લોકો માટે જ કામ કરવા ઈચ્છતા હતા.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, કોંગ્રેસે પેટાચૂંટણીમાં મોંસેરાતને ઉમેદવાર બનાવ્યાં છે તેમના પર દુષ્કર્મ સહિત અનેક ગુનાકિય કેસ છે. ગોવાના પૂર્વ સંઘ પ્રમુખ સુભાષ વેલિંગકર પણ ગોવા સુરક્ષા મંચની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં, જે ઘણું જ દુર્ભાગ્યપૂર્ણ છે.