અન્ડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં રમત જગતને શરમાવે તેવી ઘટના સામે આવી હતી. બાંગ્લાદેશના ખેલાડીઓ જાણે જીતને પચાવી જ ન શક્યા હોય તેમ વર્તન કરી રહ્યા હતા. ખેલાડીઓએ ભારતીય બેટ્સમેનને અભદ્ર ઈશારાઓ પણ કર્યા હતા. મેચની પૂરી થતાંની સાથે જ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે જે ધક્કામુક્કી થઇ હતી તેના પર ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ )ની પ્રતિક્રિયા સામે આવી છે. તેમાં કુલ પાંચ ખેલાડીઓને દોષી માનવામાં આવ્યા છે.
ICCએ બંને ટીમના 5 ખેલાડીઓને દોષી માન્યા
ભારતનાં રવિ બિશ્નોઈ અને આકાશ સિંહનું નામ સામે આવ્યું
બાંગ્લાદેશનાં 3 ખેલાડીઓ દોષિત
પાંચ ખેલાડીઓ પર ICCએ લેબલ 3નો ચાર્જ લગાવ્યો
રવિવારે અન્ડર 19 વર્લ્ડ કપનાં ફાઈનલમાં ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે ધક્કા-મુક્કી થઇ હતી. હવે આ મામલે ICCએ બંને ટીમનાં 5 ખેલાડીઓને દોષી માન્યા છે. બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓને આ શરમજનક હરકત માટે દોષી માનવામાં આવ્યા છે. તેમાં શમીમ હુસૈન, રાકીબુલ હસન, મોહમ્મદ તોહીદનાં નામ સામેલ છે. ભારતના પણ બે ખેલાડીઓને તેના માટે દોશી માનવામાં આવ્યા છે જેમાં રવિ બિશ્નોઈ અને આકાશ સિંહનું નામ સામેલ છે. આ બધા જ ખેલાડીઓ પર લેબલ 3નો ચાર્જ લગાડવામાં આવ્યો છે.
મેચ પછી બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પછી ધક્કામુક્કી થઇ હતી. મેચમાં પણ બંને ટીમ વચ્ચે ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. બીજી જ ઓવરમાં તંજીમ હસન સાકીબે જાણીજોઇને સક્સેના પર થ્રો કર્યો હોય તેવું લાગી રહ્યું હતું.
આ સિવાય ભારતીય બેટ્સમેનના આઉટ થવા પર બાંગ્લાદેશના બોલર્સ અભદ્ર ઈશારાઓ કર રહ્યા હતા. બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ પોતાના ખેલાડીઓની આ હરકત પર માફી પણ માંગી હતી. ભારતનાં કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે બાંગ્લાદેશી ખેલાડીઓએ ખૂબ અભદ્ર વર્તન કર્યું હતું.
ભારતના કેપ્ટને બાંગ્લાદેશના ખેલાડીઓ પર લગાવ્યો આરોપ
ભારતના કેપ્ટન પ્રિયમ ગર્ગે કહ્યું કે અમે શાંત હતા. અમને તો એવું જ લાગતું હતું કે જીત અને હાર એ રમતનો હિસ્સો છે. ઘણીવાર તમે જીતી જાઓ છો તો તેની સામે હારનો સામનો પણ કરવો પડી શકે છે. પરંતુ બાંગ્લાદેશના ખેલાડીઓનો ખૂબ ગંદો વ્યવહાર હતો. મને લાગે છે કે આવું ન થવું જોઈએ. બાંગ્લાદેશના ખેલાડીઓ વધારે પડતી જ આક્રમકતા દાખવી રહ્યા હતા. દર બોલ પર ભારતીય બેટ્સમેન સાથે કંઈ ને કંઈ કરી રહ્યા હતા.