BMC દ્વારા તાજ હોટેલ, ટ્રાઇડન્ટ અને મેરિયટ ગ્રુપ જેવી 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલોમાં 1000 રૂમની બૂકિંગ કરવામાં આવી છે અને જ્યારે અન્ય 1000 ઓરડાઓ બજેટ હોટલોમાં ગોઠવવામાં આવ્યા છે. આ માહિતી BMC કમિશનર આઈ.એસ. ચહલ દ્વારા આપવામાં આવી હતી.
BMC એ મુંબઇમાં 2000 રૂમ બુક કરાવ્યા
બ્રિટનથી આવનારી 5 ફ્લાઇટના લોકોની વ્યવસ્થા માટે કરાવ્યા બુક
બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનના આગમનને લીધે કરી સાવચેતી
બ્રિટન માં કોરોના ના નવા સ્ટ્રેનના આગમન પછી, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે આજે બપોરે વરિષ્ઠ અધિકારીઓને મળ્યા બાદ રાજ્યના કેટલાક ભાગોમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ઉદ્ધવ સરકારે બીજો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ હવે આવતીકાલથી યુરોપિયન દેશો અને મધ્ય પૂર્વ દેશોના પ્રવાસીઓએ ફરજિયાત ઇન્સ્ટિટ્યૂશનલ કવોરંટીનમાંથી પસાર થવું પડશે.
UK થી આવનારી પાંચ ફ્લાઇટના મુસાફરો માટે કરાઇ વ્યવસ્થા
સરકારના આ આદેશને ધ્યાનમાં રાખીને BMC દ્વારા આવતીકાલે મુંબઇમાં UK થી મુંબઇ આવતી પાંચ ફ્લાઇટ્સ માટે 2000 ઓરડાઓની વ્યવસ્થા કરી છે. મળતી માહિતી પ્રમાણે BMC દ્વારા તાજ, ટ્રાઇડન્ટ અને મેરિઓટ ગ્રુપ જેવી 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલોમાં 1000 રૂમ જ્યારે અન્ય બજેટ હોટલોમાં બીજા 1000 જેટલા રૂમની બૂકિંગ કરાવવામાં આવી છે. આ માહિતી BMC કમિશનર આઈ.એસ. ચહલ દ્વારા આપવામાં આવી હતી.
BMC કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, 5 ફ્લાઇટ્સ છે જે યુકેથી આજની રાત અને કાલ વચ્ચે ભારત આવશે. કોરોના નાં લક્ષણોવાળા મુસાફરોને 7 હિલ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને બિન-લક્ષણોવાળા લોકોને ઇન્સ્ટિટ્યૂશનલ કવોરંટીનમાં રાખવામાં આવશે.
UK સિવાયના અન્ય દેશોના મુસાફરોનું પણ થશે ટેસ્ટિંગ
આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે યુકે સિવાય અન્ય દેશોમાંથી આવતા લોકોનું પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. જો તેમને કોરોના નાં લક્ષણો હોય તો તેઓને જીટી હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને લક્ષણો વિના લોકોને સ્ટેમ્પ લગાવીને કવોરંટીન માટે મોકલવામાં આવશે. અગાઉ બનેલી એ જ વાતને ફરી નહિ થવા દેવાય જેનાથી સમગ્ર શહેરમાં સંક્રમણ ફેલાયું હતું.
નાઇટ કર્ફ્યુ વિશે વાત કરતી વખતે, BMC કમિશનર ચહલે કહ્યું કે નાઇટ કર્ફ્યુ દરમિયાન પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન જાહેર પરિવહન ખુલ્લું રહેશે. જે લોકો રાત્રે તેનો ઉપયોગ કરે છે તેમને અટકાવવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, આ સામાન્ય વર્ષ નથી. આ વખતે નવા વર્ષની ઉજવણી સામાન્ય રીતે નહીં કરી શકાય.