મહેસાણા જિલ્લામાં કોરોનાના કારણે રોજ 30થી 35 લોકોના મૃત્યુ થતા હોવા છતાં ચોપડે માત્ર 3-4નો જ આંકડો દર્શાવવામાં આવતો હોવાનો ખેલ
ક્યાં સુધી આંકડા છુપાવવાનો ખેલ?
લોકોને અંધારામાં રાખવાનો શું મતલબ?
કેમ સરકાર આંકડા છુપાવવાનું પાપ કરે છે?
લોકોને અંધારામાં રાખતા તંત્રની પોલ ખોલતી હકીકતની સામે આવી છે. મહેસાણા જિલ્લામાં ઓક્સિજન અને બેડની ઘટને લઈને તો પહેલાથી જ લોકો પરેશાન છે. સારવારના અભાવે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ માત્ર 2-4 મૃત્યુ દર્શાવી લોકોને અંધારામાં રાખવાનું કામ કરે છે. પરંતુ હકીકત તો એ છે કે, મહેસાણા જિલ્લામાં રોજ 30થી 35 લોકોના મૃત્યુ થાય છે. જેના કારણે હવે તો સ્મશાન ગૃહોમાં પણ લોકો થાકી ચૂક્યા છે. અને સિફ્ટ પ્રમાણે કામ કરી રહ્યા છે.
આ કડવી વાસ્તવિક્તા સરકાર કદાચ પચાવી નહીં શકે. પરંતુ લોકો વાસ્તવિક્તા જાણ્યા બાદ ચોક્કસથી સજાગ બનશે. કારણ કે, અત્યાર સુધી સરકાર જે આંકડા છુપાવવામાં સંતાકુકડી રમી રહી છે. તે આંકડાનો ખેલ આજે મહેસાણામાંથી ખુલ્લો પડ્યો છે. કારણ કે, મહેસાણા જિલ્લાની સ્થિતિ એટલી ખરાબ છે કે, અહીં લોકોને વેન્ટિલેટર અને ઓક્સિજન તો દૂરની વાત પરંતુ બેડ પુરતા પ્રમાણમાં નથી મળી રહ્યા. જેના કારણે છેલ્લા એક મહિનાથી રોજ 30થી 35 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. સ્થિતિ એવી બની છે કે, હવે સ્મશાન ગૃહોમાં કામ કરતા લોકો પણ થાકી ચૂક્યા છે. સિફ્ટ પ્રમાણે લોકોને કામ કરવું પડી રહ્યું છે. મહેસાણાના પરા વિસ્તારના સ્મશાને તો લોકોને રાત્રે અંતિમ વિધિ માટે નહીં આવવા અપીલ કરવી પડી છે. કારણ કે હવે નિજધામ નો સ્ટાફ પણ થાક્યો છે.
હવે જરા અંધારામાંથી તમે પણ સાચી હકીકતના ઉઝાલાને જોઈ લો જે ડરામણો છે. તંત્રના ચોપડે અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લામાં માત્ર 99 લોકોના મૃત્યુ થયાં છે. પરંતુ કેટલું જૂઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે તે તમે માત્ર સ્મશાન ગૃહના નીચે આપેલા 7 દિવસના આંકડા પરથી જ જાણી લેશો. ગત 29 એપ્રિલે મહેસાણામાં 29 લોકોના અને વિસનગરમાં 11 લોકોના મૃત્યું થયાં, જ્યારે સરકારી ચોપડે 5 લોકોના મૃત્યુ દર્શાવાયા, 30 એપ્રિલે મહેસાણામાં 23 લોકોના અને વિસનગરમાં 7 લોકોના મૃત્યુ થયાં. જ્યારે સરકારી ચોપડે 3 લોકોના મૃત્યુ દર્શાવાયા. 1લી મેએ મહેસાણામાં 24 લોકોના અને વિસનગરમાં 15 લોકોના મૃત્યુ થયા, જ્યારે સરકારી ચોપડે 4 લોકોના મૃત્યુ દર્શાવાયા. બીજી મેંના દિવસે મહેસાણામાં 26 લોકોના અને વિસનગરમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે સરકારી ચોપડે 4 લોકોના મૃત્યુ દર્શાવાયા. 3જી મેએ મહેસાણામાં 24 લોકોના અને વિસનગરમાં 5 લોકોના મૃત્યુ થયા છે.
જ્યારે સરકારી ચોપડે 3 લોકોના મૃત્યુ જ દર્શાવાયા. ચોથી મેએ મહેસાણામા 19 લોકોના અને વિસનગરમાં 10 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સરકારી ચોપડે 3 લોકોના મૃત્યુ દર્શાવાયા છે. જ્યારે ગત દિવસે એટલે કે, 5મી મેએ મહેસાણામાં 23 લોકોના અને વિસનગરમાં 8 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 2 લોકોના જ મૃત્યુ દર્શાવાયા છે. આ આંકડામાં દર્શાવેલા મૃતકો પૈકી 92 ટકા લોકોના કોરોના ગાઈડ-લાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર કરાયા છે. જ્યારે સરકાર કહે છે. કોરોના કાળમાં અત્યાર સુધીમાં માત્ર મહેસાણા જિલ્લામાં 99 લોકોના જ મોત થયા છે. જોકે બીજી તરફ સ્મશાનો પણ ખુટી પડતા તંત્રને નવા સ્મશાન ઉભા કરવાની જરૂર પડી છે.
હવે તમે અંદાજ લગાવી શકો છો કે, આપણી ગુજરાતની સરકાર લોકોને કેટલી હદે અંધારામાં રાખી રહી છે. તેમને તેમના મતોથી જ મતલબ છે. લોકોના જીવથી નહીં. આ આંકડા મહેસાણાના સ્મશાન ગૃહોના છે. જ્યાં 24 સે કલાક મૃતદેહોના અંતિમ સંસ્કાર ચાલું છે. જેના કારણે હવે સ્મશાન ગૃહોમાં કામ કરનારા લોકો પણ કંટાળી ચૂક્યા છે. આશા રાખીએ કે, અમારા આ રિપોર્ટ બાદ તમે સાવચેત બનશો. અને સ્થિતિની ગંભીરતાને સમજશો.