એન્જિનિયરે અનોખી કરામત કરી છે. ભાવનગરના 3 વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટના ભાગરૂપે સમાજને કેવી રીતે તેઓ ઉપયોગી થઈ શકે તે ઉદ્દેશ્ય સાથે એક ટચલેશ વોટર ડિસ્પોન્સર બનાવ્યું છે. જે ખાસ કરીને દિવ્યાંગ લોકો માટે વરદાનરૂપી છે. ત્યારે જાણો આ મશીન કેવું છે અને કેવી રીતે અને ક્યા હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાય છે.
એન્જિનિયર દિમાગની કમાલ
વિદ્યાર્થીઓએ બનાવ્યુ ટચલેસ વોટર ડિસ્પેન્સર મશીન
સ્પર્શ કર્યા વિના જ કામ કરે છે મશીન
ટેક્નોલોજી અને વિજ્ઞાન દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતે પણ હવે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે પ્રયાસો હાથ ધરી દીધા છે. ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજેના 3 વિદ્યાર્થીઓએ એક અનોખું મશીન બનાવ્યું છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ધાર્મિક ગોહીલ, શિવભદ્રસિંહ ગોહીલ અને પાર્થ ડેર નામના આ ત્રણેય વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટના ભાગ રૂપે ટચલેશ વોટર ડિસ્પેન્સર મશીન બનાવ્યું છે. જે મશીન કોરોના કાળમાં દરેક વ્યક્તિ માટે સૌથી ઉપયોગી સાબિત થશે. કારણ કે, તે મશીનનો પાણીથીમાંડીને ચા-કોફી સહિતની પ્રવાહી વસ્તુઓ માટે ઉપયોગ કરી શકાય છે.
શું છે મશીનની ખાસિયત?
આ મશીન ટચલેસ વોટર ડિસ્પેન્સર છે. એટલે કે, હાથ અડાડ્યા વીના જ તમે તેનો ઉપયોગ કરી શકો છો. મશીનની પાસે જઈને ઠંડુ પાણી કે, ગરમ પાણી બોલવા પર ઓટોમેટિક રીતે મશીનમાંથી ઠંડુ અને ગરમ પાણી આવે છે. મશીનનો ઉપયોગ ચા અને કોફી માટે પણ કરી શકાય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, જે લોકો દિવ્યાંગ છે અને જોઈ શક્તા નથી તેઓ પોતાના અવાજ દ્વારા જ આ મશીનની મદદથી ચા-પાણી-કોફી મેળવી શકે છે. આ મશીન બનાવવા માટે વિદ્યાર્થીઓને 2500 રૂપિયાની આસપાસ ખર્ચો થયો છે. પરંતુ આટલા ખર્ચામાં આટલું અદભૂત મશીન તૈયાર કરવું ખુબ મોટી સફળતા છે..
મહત્વનું છે કે, હાલના માહોલમાં કોરોના પર તો આપણે કંટ્રોલ મેડવી લીધો છે. પરંતુ કોરોના હજુ સંપૂર્ણ પણે ગયો નથી. તેવામાં સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. પરંતુ ઓફિસોમાં અને સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ જ્યારે પાણી પીવા કે ભરવા માટે જાય ત્યારે સ્વાભાવિક રીતે તેઓ પાણીના નળને સ્પર્શ કરવાના. જેના કારણે કોરોના વાયરસ ફેલાવાનો ડર રહેવાનો. પરંતુ વિદ્યાર્થીઓ કે, કર્મીઓ કોઈપણ પ્રકારના સ્પર્શ વગર આ મશીનની મદદથી પાણી, કોફી મેળવી શકે છે. એવું કહી શકાય કે, દરેક શાળા-કોલેજોએ આવું મશીન વિક્સાવવું જોઈએ, જેથી કોરોનાથી પણ બચી શકાય અને આપણને જરૂરી વસ્તુ પણ મળી રહે. ભાવનગરના આ યુવાનોની પહેલને VTV News આવકારે છે. કારણ કે, આત્મનિર્ભર ભારતની દીશામાં યુવાનોનું આ ખુબ મોટું સંશોધન છે.