ગુજરાતમાં આજનો દિવસ ગોઝારો સોમવાર તરીકે સાબિત થયો છે. ત્યારે 3 અલગ-અલગ જગ્યાએ કુલ 6 લોકોનાં મોત થયા છે.
ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર પુત્રની નજર સામે માતા-પિતાનું મોત
પરિવાર માતાના દર્શને જઈ રહ્યો હતો
બાળકને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
આજ રોજ રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. એમાંય સુરતમાં તો સોમવાર ગોઝારો સાબિત થયો છે. ત્યારે હવે ભાવનગર-વલ્લભીપુર રોડ પર સિહોર તાલુકાના જાંબાળા ગામનો એક પરિવાર માતાના દર્શને જઈ રહ્યો હતો. એ દરમિયાન બાઈકને ટ્રક ચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈકમાં સવાર બાળકને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
વધુમાં જણાવી દઇએ કે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા પતિ-પત્ની પોતાના પાંચ વર્ષીય પુત્રને લઈને પોતાની બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. એ જ દરમ્યાન ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડી ગામથી આગળ પેટ્રોલ પંપ નજીક એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતિ તથા તેનાં બાળકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં દંપતિએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જયારે બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ટ્રક ચાલક ટ્રક ઘટનાસ્થળે છોડીને જ ત્યાંથી નાસી છુટ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતાં અને તુરંત પોલીસને જાણ કરાઇ હતી. આથી વલ્લભીપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ અકસ્માત સર્જાતા થોડીક વાર ઘટનાસ્થળે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો.
રાજકોટમાં સ્કૂલ વાનનો અકસ્માત થતા ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ
રાજકોટના જસદણ પાસે જસદણની એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત
અત્રે તમને જણાવી દઇએ કે, બીજી બાજુ સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત થયા છે. તો બીજી બાજુ સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ
સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે. કોસંબા ઓવરબ્રીજ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. જો કે, અકસ્માત સર્જાતા તુરંત આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતાં. આ મામલે પોલીસને જાણ કરાતા તુરંત કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં કોસંબા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને વધારે તપાસ હાથ ધરાઇ રહી છે.
વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
તો સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક પણ અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જો કે, અન્ય 2 બાઈકસવારનો પણ આબાદ બચાવ થયો છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં પણ પોલીસને જાણ થતા માંગરોળ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલમાં માંગરોળ પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.
રવિવારે પુણા વિસ્તારમાં BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું હતું
ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે રવિવારનાં રોજ પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના પુણા વિસ્તારમાં બેફામ બનેલી BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું હતું. જો કે આ ઘટનામાં અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસના કાચ તોડીને તોડફોડ કરી હતી. બાદમાં પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.