પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર રાજ્યોમાં ગુંડા બોલાવીને કોમવાદી હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો છે. ટીએમસીના સેક્રેટરી ફિરહાદ હકીમે જણાવ્યંંુ છે કે કેન્દ્રમાં શાસક ભાજપ આતંકી સંગઠન માફક વર્તે છે.
તેના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ બંગાળને પાકિસ્તાન બનાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ અમે આવું થવા દઇશું નહીં. અગાઉ રાજકીય ચાલબાજી અને હવે સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે લેવામાં આવતી દલાલી વિરુદ્ધ ભાજપ સક્રિય થતાં પશ્ચિમ બંગાળના વીરભૂમિમાં માહોલ ગરમ થઇ ગયો છે.
ગરીબોના રૂપિયા પાછા આપવાની માગને લઇને પંચાયતમાં દેખાવો કરવામાં આવે તે પહેલાં જ ભાજપના નેતાના ઘરને નિશાન બનાવીને બોમ્બમારો અને ફાયરિંગ કરાયું હતું જોકે આ ઘટનામાં કોઇ ખુવારી થઇ હોવાના સમાચાર નથી. ભાજપે તૃણમૂલ કોંગ્રેસ પર આ ઘટનાને અંજામ આપવાનો આક્ષેપ કર્યો છે.
સૂત્રોનાં જણાવ્યાનુસાર ભાજપ સામાન્ય લોકોને સાથે રાખી સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે ઉઘરાવાયેલી દલાલીની રકમ પરત કરવાની માગને લઇને વીરભૂમિના નાનૂર તાલુકામાં પાંચસોયા ગ્રામ પંચાયત સમક્ષ દેખાવો કરવાની યોજના તૈયાર કરી હતી પરંતુ ભાજપના આ વિરોધ દેખાવો રોકવા માટે તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ ભાજપના નેતાના ઘરને નિશાન બનાવી બોમ્બમારો અને ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં તંગદિલી વધી ગઇ છે.
ફિરહાદ હકીમે એવો આક્ષેપ કર્યો હતો કે, લોકસભા ચૂંટણી બાદ ભાજપ બંગાળમાં પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. ભાજપ ઉત્તર પ્રદેશ અને બિહારથી ગુંડા બોલાવી કોમવાદી હિંસા ફેલાવી રહ્યો છે.
નોર્થ-ર૪ પરગણાંના ભાટપારામાં થયેલી હિંસા પર ફિરહાદ હકીમેે જણાવ્યું છે કે અહીં બંગાળી લોકોને ઘર છોડવાની ફરજ પડાઇ રહી છે. ભાટપારામાં સત્તાવાળાઓએ કલમ-૧૪૪ લગાવી દીધી છે અને સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.