જામનગરમાં ગઇકાલે દેવુભાના ચોક વિસ્તારમાં બે માળનું એક મકાન ધરાશાયી થયુ હતું. મકાનમાં સમારકામ દરમિયાન મકાનની છત ધરાશાયી થઈ હતી. આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે કુલ 3ના મોત થયા છે.
આ મકાન ધરાશાયી થયાની દુર્ઘટનાના ચોવીસ કલાક બાદ પણ રેસ્ક્યુ કામગીરી અવિરત ચાલી હતી. મકાનના કાટમાળમાં એક વ્યક્તિ દબાયો હોવાની આશંકાને લઇને કાટમાળ ખસેડવા NDRFની ટીમ બોલાવાઇ હતી. આ મકાન ધરાશાયી અગાઉ બેના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ દબાયેલો હોવાની આશંકાને લઇને તેને બહાર કાઢવા માટે રાજકોટ ડીઝાસ્ટર અને ફાયરની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરંતુ દુર્ઘટનાના 30 કલાક બાદ ત્રીજી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. NDRFની ટીમે કલાકોની મહેનત બાદ ત્રીજો મૃતદેહ બહાર કાઢ્યો છે.
આમ, આ દુર્ઘટનામાં મૃત્યુ આંક વધીને ત્રણ થયો. દસ વર્ષ જૂના આ મકાનમાં સમારકામ ચાલી રહ્યું હતું. માત્ર એક ઈંટની ચાર દીવાલ પર બે માળ ખડકી દેવાયા હોવાથી આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. અચાનક મકાન ધરાશાયી થવાથી સ્થાનિકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ ઘટનાને લઇને ફાયરબ્રિગેડ અને પોલીસે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં હતી.
ત્યારે કેબીનેટ મંત્રી આરસી ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી. ઘટનામાં જીવ ગુમાવેલ વ્યક્તિઓના પરિવારજનોને સરકાર બનતી મદદ કરશે એમ સરકાર તરફથી દિલાસો દેવામાં આવ્યો હતો. અંદર ફસાયેલ વ્યક્તિને બચાવી લેવા અથાક પ્રયાસ કરવામાં આવી રહ્યાં હોવાનું મંત્રી ફળદુએ જણાવ્યું હતું. જોકે દુર્ઘટનાના 30 કલાક બાદ એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે.