નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામે બોટ પલટવાની મોટી ઘટના બની હતી. પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં આવેલા કૃત્રિમ તળાવમાં અચાનક બોટ પલટી હતી. આ બોટમાં 10થી વધુ લોકો સવાર હતા. બોટ પલટવાની દુર્ઘટનામાં દોઢ વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નવસારીના સોલધરાના ઇકો પોઇન્ટના કૃત્રિમ તળાવમાં બોટ પલટી હતી
સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા 3 લોકોના મોત
પોલીસ અધિકારીઓએ અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
ચીખલી તાલુકાના સોલધરા ગામના ઇકો પોઇન્ટ પર લોકો રવિવારની મજા માણવા આવ્યા હતા. ત્યારે સોલધરા ગામના તળાવમાં બોટ પલટી જતા બોટમાં સવાર 10થી વધુ લોકો ડુબ્યા હતા. જોકે આ બોટ દુર્ઘટનામાં 3 લોકોના પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયા છે. જ્યારે હજુ 3 લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઘટના બનતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને લાપતા લોકોને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. તો સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ આ અકસ્માતને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.