કર્ણાટકમાં લગભગ એક સપ્તાહની રાહ જોયા બાદ મંત્રીઓને વિભાગોની વહેંચણી થઇ ગઇ છે. આ વખતે મુખ્યમંત્રી યેદિયુરપ્પાને ત્રણ નાયબ મુખ્યમંત્રી અપાયા છે.
યેદિયુરપ્પા સરકારમાં ત્રણ ડેપ્યૂટી મુખ્યમંત્રી બનાવાયા છે. જેમાંથી એક લિંગાયત, એક વોક્કાલીગ્ગા અને એક દલિત છે. વરિષ્ઠ લિંગાયત નેતા બીએસ યેદિયુરપ્પાને પહેલી વાર ત્રણ ઉપ મુખ્યમંત્રી આપવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં હાર મેળવનાર નેતા લક્ષ્મણ સાવદી, જે વિધાનસભામાં 'પોર્ન ગેટ'ને કારણે સમાચારમાં આવ્યા હતા. હવે નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. એમને ટ્રાન્સપોર્ટ પોર્ટફોલિયો પણ આપવામાં આવ્યો છે.
બીજા નાયબ મુખ્યમંત્રી છે ડૉ. અશ્વત નારાયણ. કહેવામાં આવે છે કે આ વોક્કાલીગ્ગા નેતાએ જેડીએસ અને કોંગ્રેસની બગાવતમાં મૂખ્ય ભૂમિકા નિભાવી હતી. એમને ઉચ્ચ શિક્ષણ અને માહિતી વિભાગ આપવામાં આવ્યો છે. કર્ણાટકમાં માહિતી ટેક્નીક અને બાયોટેક્નોલોજીનો પોર્ટફોલિયો મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમકે આ ક્ષેત્રમાં કર્ણાટક દેશમાં લીડરની ભૂમિકામાં છે.
ત્રીજા નાયબ મુખ્યમંત્રી છે દલિત નેતા ગોવિંદ કરજોલ જેમને સમાજ કલ્યાણ અને પીડબલ્યૂડી વિભાગ અપાયો છે. ગૃહ મંત્રાલય યેદિયુરપ્પાના વિશ્વાસુ લિંગાયત નેતા બસવરાજ ભોમઇને ફાળવાયું છે. નોંધનીય છે કે આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડીની સરકારમાં પાંચ ડેપ્યૂટી મુખ્યમંત્રી બનાવાયા હતા.