જસપ્રિત બુમરાહના સ્થાને BCCI એ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યો છે પણ શમી એ ટી20 વર્લ્ડ કપ 2021 પછીથી કોઈ ટી20 ઈન્ટરનેશનલ મેચ નથી રમી.
બુમરાહનું ઈજાના કારણે બહાર થવું એ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ફટકો હતો
BCCI એ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યો
પૂર્વ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલ રોબિને પહેલા કહી હતી આ વાત
ICC T20 વર્લ્ડ કપ 2022 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે અને 16 ટીમોમાંથી કુલ 8 ટીમો એ સીધા જ ગ્રુપ-12 સ્ટેજ માટે ક્વોલિફાય કરી લીધું છે જ્યારે બાકીની 4 ટીમ ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને તેની જગ્યા વર્લ્ડ કપ મેચમાં નક્કી કરશે. T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે તેનો પહેલો મેચ રમશે.
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જસપ્રિત બુમરાહનું ઈજાના કારણે બહાર થવું એ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ફટકો હતો એ વિશે આપણે બધા જાણીએ જ છીએ. જસપ્રિત બુમરાહના સ્થાને BCCI એ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યો છે પણ શમી એ ટી20 વર્લ્ડ કપ 2021 પછીથી કોઈ ટી20 ઈન્ટરનેશનલ મેચ નથી રમી. તેમ છતાં પણ ભારતીય પૂર્વ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલ રોબિન ઉથપ્પાને પહેલાથી જ લાગતું હતું કે શમી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવશે અને એવું જ થયું.
જ્યારે રોબિન ઉથપ્પાને ટીમ ઈન્ડિયાના પેસ અટેક વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એમને કહ્યું હતું કે, ' આ બધી વસ્તુ એ વાત પર નિર્ભર કરે છે કે ટીમ કેટલા ફાસ્ટ બોલરો સાથે રમે છે.' આ સાથે એમને એમ પણ કહ્યું હતું કે તેઓ શમી અને અર્શદીપને ટીમમાં સામેલ કરવા માંગે છે.
રોબિન ઉથપ્પાએ કહ્યું હતું કે, 'આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા ફાસ્ટ બોલરો સાથે રમો છો કારણ કે હાર્દિક પંડ્યા પણ ટીમમાં હાજર છે અને હું ઇચ્છીશ કે કોઈ ડાબા હાથનો બોલર ટીમનો હિસ્સો બને કારણ કે એન્ગલમાં ફેરફારથી ઘણો ફરક પડે છે અને અર્શદીપ નવા બોલ સાથે શાનદાર બોલિંગ કરે છે. હું મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમાર ને લેવાના પક્ષમાં છું,ભુવનેશ્વર કુમાર અને હર્ષલ પટેલ વચ્ચે જંગ રહેશે.'
એમને આ ઇંટરવ્યૂના અંતમાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે ખેલાડીઓનું હાલનું ફોર્મ નક્કી કરશે કે કયો બોલર પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવશે અને કયો નહીં. આવનાર વોર્મ-અપ મેચોમાં આ બોલરો કેવું પ્રદર્શન કરે છે એ ખાસ મહત્વનું રહેશે અને એ પછી જ નક્કી થશે કે કોણ પ્લેઇંગ ઇલેવનમાં શામેલ થશે.'