શિયાળામાં ઘણાંને હાથ અને પગમાં સોજા આવવાની સમસ્યા થતી હોય છે. આવું ઠંડીને કારણે થતું હોય છે. સોજાને કારણે હાથ-પગમાં સખત દુખાવો પણ થવા લાગે છે. ઉઠવા-બેસવા અને કામ કરવામાં પરેશાની અનુભવાય છે. ઘણાં લોકો આ સમસ્યાને ઈગ્નોર કરે છે અને ધ્યાન નથી આપતા પરંતુ તમને જણાવી દઈએ કે શિયાળામાં સ્નાયુઓના સંકોચનને કારણે બ્લડ સર્ક્યુલેશન અવરોધાય છે. જેના કારણે સોજા આવે છે. આ સમસ્યામાં ધ્યાન આપવું જરૂરી છે. જેથી આજે અમે તમને બેસ્ટ આયુર્વેદિક ઘરેલૂ ઉપચાર જણાવી રહ્યાં છે. જે બધાં માટે લાભકારી છે અને સોજા આવવાની સમસ્યાને દવાઓ વિના જ ઠીક કરી દેશે.
શિયાળામાં હાથ-પગમાં સોજા આવવાની સમસ્યા વધી જાય છે
ઘરેલૂ ઉપચાર દવાઓ વિના જ દૂર કરશે આ સમસ્યા
હાથ-પગમાં રહેતી કળતરને પણ મટાડશે આ ઘરેલૂ ઉપચાર
સરસિયાનું તેલ
સરસિયાનું તેલ અનેક રીતે ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરે છે. તેની પાછળનું કારણ કદાચ આ તેલના ગુણો વિશેની જાણકારી ન હોવી પણ હોઈ શકે છે. સરસિયાના તેલનો જો ઉપયોગ કરવામાં આવે તો તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા વિના રાહત મેળવી શકો છો. આ તેલ ટોનિક રૂપે કામ કરે છે. તે શરીરની કાર્યક્ષમતા વધારે છે સાથે શરીરની નબળાઈને દૂર કરે છે. સોજાની સમસ્યામાં 4 ચમચી સરસિયાના તેલમાં 1 ચમચી સિંધવ મીઠું મિક્સ કરીને ગરમ કરી લો અને સૂતા પહેલાં હાથ-પગમાં જ્યાં સોજા આવ્યા હોય ત્યાં લગાવીને મોજા અને હેન્ડ ગ્લોવ્સ પહેરી લો. તમે માલિશ પણ કરી શકો છો. આ સિવાય જેતૂનનું તેલ ગરમ કરી તેનાથી પણ માલિશ કરી શકો છો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને સોજા દૂર થઈ જશે.
હળદર
હળદર સ્વાસ્થ્ય માટે કેટલી ગુણકારી છે એ વાત તો લગભગ બધાં જ જાણતા હશે. તેમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીકાર્સિનોજેનિક અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી પણ રહેલી છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે. જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે. જેથી કેન્સર, આર્થ્રાઈટિસ અને અલ્ઝાઇમર જેવા રોગો સામે રક્ષણ કરે છે. આ સિવાય બોડી પેઈન અને સોજાની સમસ્યામાં પણ હળદર બેસ્ટ દેશી દવા છે. તેના માટે તમે રોજ હળદરવાળું દૂધ પી શકો છો. અથવા તો નવશેકા પાણીમાં હળદર મિક્સ કરી પેસ્ટ પણ સોજાવાળી જગ્યાએ લગાવી શકો છો. તેનાથી રાહત મળશે.
સિંધવ મીઠાથી શેક
જો તમને હાથ-પગમાં વારંવાર સોજા આવી જતાં હોય અથવા તો બળતરા થતી હોય તો એક ડોલમાં ગરમ પાણી લઈ તેમાં 5-6 ચમચી સિંધવ મીઠું મિક્સ કરીને તમારા પગ તેમાં ડુબાડી રાખો અથવા તો સોજાવાળા ભાગ પર એ પાણી રેડો. આનાથી તરત જ આરામ મળશે અને સોજા દૂર થઈ જશે.
તેલ અને મીણબત્તી
આ એક કારગર ઉપાય છે. તેના માટે એક વાટકીમાં સરસિયાનું તેલ લઈને તેને ગરમ કરી લો. પછી તેમાં 1 સફેદ મીણબત્તી નાખી દો. એ પિગળી જાય એટલે તેને ફરી ગરમ કરી સોજાવાળા ભાગ પર લગાવી મસાજ કરો. તેનાથી તરત જ આરામ મળશે.
ડુંગળી
ડુંગળીમાં એન્ટીબાયોટિક અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી ડુંગળીનું સેવન સોજા દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ડુંગળીનો રસ સોજાવાળી જગ્યાએ લગાવવાથી પણ આરામ મળે છે. તેનાથી ખુજલી પણ દૂર થાય છે.