તાજેતરમાં અદાણી ગ્રૂપે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશ કર્યો તો રીલાયન્સ ગ્રૂપે પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો, અંબાણી-અદાણી ગુજરાતીઓ વચ્ચે થશે સીધો મુકાબલો ?
અંબાણી-અદાણી ગુજરાતીઓ વચ્ચે થશે સીધો મુકાબલો
ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી માટે અદાણી ગ્રૂપની એન્ટ્રી
5G સ્પેક્ટ્રમની હરાજીને લઈ 12 જુલાઈએ મોટી જાહેરાત
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને ઉદ્યોગપતિઓ ગુજરાતમાંથી આવે છે. જોકે હવે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટૂંક સમયમાં નવું સાહસ શરૂ કરી શકે છે. જો બધુ પ્લાન મુજબ ચાલ્યું તો આવનારા દિવસોમાં મુકેશ અંબાણીની જિયો (મુકેશ અંબાણી રિલાયન્સ જિયો) અને સુનીલ ભારતી મિત્તલની એરટેલ વચ્ચે ટક્કર થવાની છે. જેને લઈ હવે હવે ટેલિકોમ સેક્ટરમાં અદાણી ગ્રૂપની એન્ટ્રીને કારણે બંને વચ્ચે સીધો મુકાબલો થઈ શકે છે.
પીટીઆઈના સમાચાર મુજબ, અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ ટેલિકોમ સ્પેક્ટ્રમ મેળવવાની રેસમાં સામેલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ તેનું આયોજન શરૂ કરી દીધું છે. સરકારે 5G સ્પેક્ટ્રમની હરાજી માટે કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી હતી, જે સબમિટ કરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ હતી.
સ્પેક્ટ્રમ માટે 4 અરજીઓ
આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે, આ માટે સરકારને 4 અરજીઓ મળી છે. જેમાં ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Ideaએ 26 જુલાઈએ યોજાનારી સ્પેક્ટ્રમની હરાજી માટે અરજી કરી છે. જ્યારે અરજી દાખલ કરનાર ચોથી કંપની અદાણી ગ્રુપ છે. કંપનીએ તાજેતરમાં નેશનલ લોંગ ડિસ્ટન્સ (NLD) અને ઈન્ટરનેશનલ લોંગ ડિસ્ટન્સ (ILD) લાઇસન્સ મેળવ્યા છે. અત્રે નોંધનિય છે કે, અદાણી ગ્રુપે આ અંગેના ઈ-મેઈલ કે ફોન કોલ્સનો જવાબ આપ્યો ન હોઇ હજી સુધી આની પુષ્ટિ થઈ શકી નથી.
5G સ્પેક્ટ્રમની હરાજીને લઈ 12 જુલાઈએ મોટી જાહેરાત
સરકાર દ્વારા નિર્ધારિત સમયરેખા અનુસાર 5G સ્પેક્ટ્રમની હરાજી માટે અરજી કરનારાઓની માહિતી 12 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. સરકાર કુલ 72,097.85 MHz સ્પેક્ટ્રમની હરાજી કરવા જઈ રહી છે. તેની કિંમત લગભગ 4.3 લાખ કરોડ રૂપિયા છે. આ હરાજી હેઠળ, 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz અને 3300 MHz મિડ ફ્રિકવન્સી બેન્ડમાં અને 26 GHz સ્પેક્ટ્રમ આ હાઇ ફ્રિકવન્સી બેન્ડ હેઠળ હરાજી કરવામાં આવશે.
અંબાણી-અદાણી ગુજરાતીઓ વચ્ચે થશે સીધો મુકાબલો ?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંને ઉદ્યોગપતિઓ ગુજરાતમાંથી આવે છે. અત્યાર સુધી બંને જૂથો વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે અને તેમની વચ્ચે કોઈ સીધી સ્પર્ધા નથી. મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રૂપ ઓઈલ, રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સથી લઈને ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં કામ કરે છે, જ્યારે અદાણી ગ્રૂપ પોર્ટ, કોલસો, ગ્રીન એનર્જી, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને એવિએશન સેક્ટરમાં કામ કરે છે. જોકે મહત્વનું છે કે, તાજેતરના સમયમાં જ્યાં અદાણી ગ્રૂપે પેટ્રોકેમિકલ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે, ત્યાં રિલાયન્સ ગ્રૂપે પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. હવે ટેલિકોમ સેક્ટરમાં અદાણી ગ્રૂપની એન્ટ્રી બંને વચ્ચે પહેલી સીધી સ્પર્ધા થઈ શકે છે.