ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં 8 ટકાનો વધારો કરવા રાજ્ય સરકાર ભારત સરકારના કૃષિખર્ચ અને ભાવપંચને ભલામણો મોકલશે
ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં 8%નો વધારો કરાશે
ડાંગરમાં પ્રતિમણે 550 રૂપિયાના ભાવની ભલામણ
બાજરીમાં પ્રતિમણે 640 રૂપિયાના ભાવની ભલામણ
રાજ્યના ખેડૂતો માટે ખરીફ સિઝનના પાકને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં 8 ટકાનો વધારો કરવા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરશે, જેને લઈ ટેકાના ભાવ વધારો થઈ શકે છે.
ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં વધારો કરવા ભલામણ
રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ડાંગરમાં પ્રતિમણે 550 રૂપિયાના ભાવ કરવાની તેમજ બાજરીમાં પ્રતિમણે 640 રૂપિયાના ભાવની ભલામણ કરશે. જુવારમાં પ્રતિમણે 1 હજાર 80 રૂપિયાના ભાવની મકાઈમાં પ્રતિમણે 900 રૂપિયાના ભાવની ભલામણ કરશે જ્યારે તુવેરમાં પ્રતિમણે 1 હજાર 600 રૂપિયાના ભાવની તેમજ મગમાં પ્રતિમણે 1 હજાર 860 રૂપિયાના ભાવની ભલામણ કરશે. વધુમાં અડદમાં પ્રતિમણે 1 હજાર 760 રૂપિયાના ભાવની તેમજ મગફળીમાં પ્રતિમણે 1 હજાર 500 રૂપિયાના ભાવની ભલામણ કરશે. તલમાં પ્રતિમણે 2 હજાર 106 રૂપિયા અને કપાસમાં 1 હજાર 780 રૂપિયાના ભાવની ભલામણ કરશે. ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવ પંચને ભલામણો મોકલવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.
અગાઉ 8 જૂન 2022ના રોજ ટેકાના ભાવમાં 4-9 ટકાનો વધારો કરાયો હતો
કેન્દ્ર સરકારે 8 જૂન 2022ના રોજ 2022-23ના પાક વર્ષ માટે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં 4-9 ટકાનો વધારો કર્યો હતો, જેમાં ડાંગરની એમએસપી 100 રૂપિયા વધારીને 2,040 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યું હતું, આ પગલાનો હેતુ ખેડૂતોને વધુ વિસ્તારને વાવેતર હેઠળ લાવવા અને તેમની આવક વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ વર્ષ 2022-23ના પાક વર્ષ માટે 17 ખરીફ પાકો માટે એમએસપીમાં વધારો કરવાની મંજૂરી આપી હતી.
વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે
ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.