રાજ્યમાં કોરોનાના કેસ વધવાની સંભાવનાને પગલે એલર્ટ આપી અત્યારથી જ સલામતી અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાની વેક્સિનનો સ્ટોક ખાલી થઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાની રસીની અછત
લોકો રસી લીધા વિના પરત ફર્યા
અમદાવાદના લોકોને ક્યારે મળશે રસી?
દુનિયાભરના અનેક દેશોમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈ પણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે પર્યાપ્ત સ્વાસ્થ્ય સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના નિર્દેશ પણ આપ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસ વધવાની સંભાવનાને પગલે એલર્ટ આપી અત્યારથી જ સલામતી અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં કોરોનાની વેક્સિનનો સ્ટોક ખાલી થઈ ગયો છે.
ગઈકાલે મોકડ્રીલ કરી અને આજે વેક્સિનની અછત
કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગઈકાલે જ રાજ્યભરની હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ હતી. ત્યારે મોકડ્રીલના બીજા જ દિવસે અમદાવાદમાં વેક્સિનની અછત જોવા મળી રહી છે. વેક્સિન ન મળવા પર લોકો આક્ષેપ કરી રહ્યા છે.
વેક્સિન ન મળવા પર લોકોનો આક્ષેપ
એક તરફ સરકાર દ્વારા વેક્સિન લેવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, બીજી બાજુ શહેરના જોધપુર UHC સેન્ટર ખાતે લોકો વેક્સિન લીધા વગર જ પરત ફરી રહ્યા છે.
અમદાવાદના જોધપુર UHCમાં વેક્સિનનો સ્ટોક ખાલીખમ થઈ ગયો હોવાથી વેક્સિન લેવા આવતા લોકો વેક્સિન લીધા વિના જ પરત ફરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, અમે બે દિવસ પહેલા પણ વેક્સિન લેવા માટે અહીં પહોંચ્યા હતા, ત્યારે પણ વેક્સિન નહોતી. UHC સેન્ટર દ્વારા સોમવાર સુધી વેક્સિન નહીં આવે તેવું જણાવવામાં આવ્યું છે.
અમદાવાદમાં કોવિડ રસીનો સ્ટોક થયો પૂરો
એક રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 46 લાખ જેટલા લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવાનો છે, પરંતુ તેમાંથી માત્ર 10 લાખ લોકોએ જ ડોઝ લીધો છે.જેથી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે લોકો વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ લે. પરંતુ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વેક્સિન ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.