સ્થાનિકોએ અનાજ ભરેલું વાહન ઝડપીને કૌભાંડનો કર્યો ખુલાસો
ગુજરાતમાં સરકારી અનાજ અને સગેવગે કરવાનું કૌભાંડ એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેવુ લાગી રહ્યું છે. ફરી એક વાર આણંદમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડનો પર્દાફાશ થતાં ખળભળાટ મચ્યો છે. જોળ ગામના સરપંચના ભંડારમાંથી અનાજ સગેવગે થતાં સ્થાનિકોએ અનાજ ભરેલું વાહન ઝડપી સમગ્ર મિલીભગતનો ભાંડફોડ કર્યો છે.
આણંદમાં સરકારી અનાજ સગેવગે કરવાના મામલો જોર પકડી રહ્યો છે. જોળ ગામના સરપંચના ભંડારમાંથી અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું હતું. જે બાબત પર ધ્યાન જતાં સ્થાનિક લોકોએ જ અનાજ ભરેલું વાહન ઝડપી કૌભાંડનો ખુલાસો કર્યો છે. સરપંચે ગરીબોના હક્કના રોટલા પર પોતાની મેલી મુરાદ દાખવી હતી. ગોડાઉન પડેલા સરકારી અનાજને અન્ય થેલામાં પેક કરી બારોબાર સગેવગે કરવાનો કારસો રચાયો હતો. સમગ્ર કૌભાંડમાં સ્થાનિક અધિકારી પણ ઢીલું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. વિદ્યાનગર પોલીસની મદદથી લોકોએ રંગેહાથ રેડ કરી આ કાળો ખેલ બહાર પાડયો છે. પોતાને જાગીરદાર સમજતા લોકો જ ગરીબોના કોળિયાને છીનવી પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. ત્યારે મોટો સવાલ એ છે કે કયા સુધી ગુજરાતમાં સરકારી અનાજ સગેવગે થતાં જ રહેશે? અહી તો ગ્રામજનોની સજાગતાએ સરપંચના કારનામાંને ઉજાગર કર્યો છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર હવે કેટલી જવાબદારીથી આરોપીઑ સામે કાર્યવાહી કરે છે.
વીટીવી ગુજરાતીના સળગતા સવાલ
સરકારી અનાજ કૌભાંડમાં જવાબદાર કોણ?
ગરીબોના અનાજ પર કયા માલેતુજારોનો છે કબજો ?
શું જિલ્લા પુરવઠા પદાધિકારીઓની છે મિલીભગત?
સરકારી અનાજનો વહીવટ કોણ કરી રહ્યું છે?
શું અન્ય શહેરોમાં પણ આવી જ સ્થિતિ હશે?
આ પહેલા સાબરકાંઠાથી અનાજ કૌભાંડ ઝડપાયું હતું
સાબરકાંઠાના ત્રણ સસ્તા અનાજના દુકાનદારો અને વચેટીઓ મળી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ જણાની ધરપકડ કરી હતી. સાબરકાંઠા તેમજ અરવલ્લી જીલ્લાના 85થી વધુ સસ્તા અનાજની દુકાનના તેમજ મંડળીના નામો ખુલતા બન્ને જિલ્લામાં ભારે ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાથી ઝડપાયેલા સસ્તા અનાજ કૌભાંડના તાર છેક રાજકોટ સુધી જોડાયેલા છે.રાજયવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ સમગ્ર કૌભાંડમાં 300થી વધુ આરોપીઓની સંડોવણીમાં નામો ખુલવા પામ્યા છે, ત્યારે સમગ્ર મામલે તત્કાલીન પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ તપાસના આદેશ આપ્યા હતા અને ગરીબોનું અનાજ સગેવગે કરનાર લોકોના સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. થોડી ધરપકડ બાદ મામલો ફરી ઠરી ઠામ થઈ ગયો હતો.
સરકારી અનાજને આવી રીતે સગેવગે કરાય છે
સસ્તા અનાજની દુકાનમાંથી જે રેશનકાર્ડ ધારકો માસીક અનાજ ખરીદતા ન હોય તેવા રેશનકાર્ડ ધારકોના નામે સંચાલકો ખોટા ઓનલાઈન બીલો બનાવી દેતા હતા. જેમાં રેશનકાર્ડ ધારકની જાણ બાહાર જ સમગ્ર માહિતી જેવી કે કાર્ડ ધારકનું નામ, સરનામું, રેશનકાર્ડ નંબર, આધારકાર્ટ નંબર, આગણાની છાપોનો ડેટા, ગેમસ્કેન, સેવડેટા જેવા સર્વર બેઈઝ સોફટવેર બનાવી તેમાં ડેટા કોપી રાખી બાદામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, અનાજ તેમજ રાશન ખરીદી કરેલ ન હોય તેવા રેશનકાર્ડ ધારકના નામના વેબસાઇટ ઉપર ખોટા બીલો બનાવી સરકારી રાશનને સગેવગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ચાલતું હતું જેનો પર્દાફાશ થયો છે.
ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત: પ્રહલાદ મોદી, તો કેમ તંત્ર સર્વરમાં પારદર્શિતા લાવવાની વાત નથી કરતું?
દેશના ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિન લાઇસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદી સસ્તા અનાજના દુકાનદારોની વ્હારે આવ્યા હતા અને સરકારની સિસ્ટમને સમગ્ર મામલે જવાબદાર ઠેરવી હતી. પ્રહલાદ મોદીએ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે દુકાનદારોએ કોઇ ગેરરિતી આચરી નથી, સરકાર સસ્તા અનાજના દુકાનદારને દબાવવાના પ્રયાસ કરી રહી છે તેમણે સસ્તા અનાજની સિસ્ટમ પર નિશાન સાધતાં કહ્યું હતું કે બાયોમેટ્રિક સિસ્ટમ સર્વર આધારીત છે અને ગુજરાતનું સર્વર પોલિયોગ્રસ્ત છે . જણાવી દઈએએ પ્રહલાદ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ છે. ત્યારે મોટો સવાલ એ છે કે તો કેમ તંત્ર સર્વરમાં પારદર્શિતા લાવવાની વાત નથી કરતું? કેમ સરકારી અનાજ સગેવગે કરી ગરીબોના હક્ક પર તરાપ મરાઈ રહી છે અને કેમ તંત્ર પાંગળું બની ફકત એકાદ બે કૌભાંડને ઝડપી હાથ પર હાથ ધરી બેસી રહે છે.