વડોદરામાં ગર્ભવતી મહિલાને ગાયે અડફેટે લેવા મામલે મોટો ખુલાસો થયો છે.મહિલાના ગર્ભમાં રહેલું બાળક જીવિત છે. ડૉક્ટરે સોનોગ્રાફી કરતાં બાળક જીવિત હોવાનું સામે આવ્યું છે.
ડોક્ટરે સોનોગ્રાફી કરતાં બાળક જીવિત હોવાનું આવ્યું સામે
વડોદરા શહેરની સલાટવાડાની હનુમાનજી ગલીમાં એક ગર્ભવતી મહિલાને રખડતા પશુએ અડફેટમાં લેતા ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ નિપજ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ મામલે હવે મોટો ખુલાસો થયો છે. ડૉક્ટરે સોનોગ્રાફી કરતાં બાળક જીવિત હોવાનું સામે આવ્યું છે. મહિલા મનીષા ચોબેના ગર્ભમાં રહેલું બાળક જીવિત છે. વડોદરા કોર્પોરેશન સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
ગર્ભવતી મહિલાને રખડતા પશુએ અડફેટે લીધી
મળતી માહિતી અનુસાર, સલાટવાડા વિસ્તારમાં રહેતા મનીષાબેન ચોબે મંગળવારે પોતાની 4 વર્ષની દીકરી સાથે કામ અર્થે બહાર જઈ રહી હતી. આ દરમિયાન મહિલાને ગાયે અડફેટે લીધી હતી. જેમાં મહિલાના પેટ, પેઢા સહિત શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ બાદ સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા અને મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોએ કોર્પોરેશનના સત્તાધીશો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ મામલે ઇજાગ્રસ્ત મનીષા ચોબેની બહેન સુનીતાબેને નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'ગાયે મારી બહેન અને બાળકોને અડફેટમાં લીધા છે. અમારા વિસ્તારમાં ગાયનો ખૂબ ત્રાસ છે. ગાયની સમસ્યાનું નિરાકરણ લાવો. સરકારે પશુ નિયંત્રણ અધિનિયમ કાયદો રદ ન કરવો જોઈએ. અમારી સુરક્ષા સરકારની જવાબદારી છે.'
ગર્ભવતી મહિલાને અડફેટે લીધા બાદ મનપાની ટીમ જાગી
આ બનાવ બાદ VMC અને પોલીસની ટીમ સલાટવાડા વિસ્તારમાં ત્રાટકી હતી. ટીમે સલાટવાડા વિસ્તારના ગેરકાયદે ઢોરવાડા તોડી પાડ્યા હતા. આ ઉપરાંત 5થી વધુ પશુઓને પકડી પાડ્યા હતા. મહિલાને પશુએ અડફેટે લીધા બાદ મીડિયામાં સમાચારો વહેતા થયા હતા કે, મહિલાને ગાયે અડફેટે લેતા મહિલાના ગર્ભમાં રહેલું બાળકનું મોત નીપજ્યું છે.
જોકે, વડોદરા કોર્પોરેશન સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મનીષા ચોબેના ગર્ભમાં રહેલું બાળક જીવિત છે. ડૉક્ટરે સોનોગ્રાફી કરતાં બાળક જીવિત હોવાનું સામે આવ્યું છે. મનીષા ચોબેને હાલમાં 8 અઠવાડિયા એટલે કે બે માસનું ગર્ભ છે. ગર્ભમાં બાળકના મોતની ખોટી ખબર ફેલાવવામાં આવી હતી.