એક તરફ કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવવામાં આવે છે તો બીજી તરફ કોન્ટ્રાક્ટરોને ખાલી મલાઇ ખાવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. મનમાન્યા પૈસા લઇને રોડની ગુણવત્તા સભર કામગીરી કરવાને બદલે કામગીરીનો માત્ર દેખાડો કરાતો હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસુ હોય કે ઉનાળો, કોન્ટ્રાકટોના ખિસ્સા તો ભરાઇ જાય છે પરંતુ વેઠવાનો વારો આવે છે પ્રજાનો, પિસાવાનો વારો આવે છે પ્રજાનો. સમયસર વેરો ભરવા છતાં પણ પ્રજાને અગવડતા પડે એ શું કામનું ? ત્યારે મહેસાણામાં આવી જ એક ઘટના સામે આવી છે.
નવો બનાવેલો રોડ પીગળ્યો
મહેસાણાના રાજમહેલ રોડ પર નવા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે. એક તરફ નગરપાલિકા દ્વારા નવો રોડ બનાવવામાં આવ્યો તો બીજી તરફ રોડ બનાવ્યાના થોડા દિવસોમાં જ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો. રસ્તા પર ડામર પ્રવાહીસ્વરુપે બહાર આવતા વાહન ચાલકો પરેશાન થયા છે. વળી કોન્ટ્રાક્ટરોની આવી ભૂલને છુપાવવા તેની પર મેટલ ડસ્ટ પણ નાંખવામાં આવી પરંતુ ડસ્ટ ઉડતા લોકો પરેશાન થઇ રહ્યા છે. મેટલ ડસ્ટની ડમરીઓ ઉડતા લોકોએ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે.
હલકી ગુણવત્તાવાળી કામગીરી કેમ ?
જોઇ શકાય છે દ્રશ્યોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આવા સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યુ છે.આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. શ્વાસ પણ લેવામાં તકલીફ પડે છે ત્યારે કરોડો રુપિયા ખર્ચીને નવો રોડ બનાવ્યો તે શું કામનો ? પ્રજાની સુખાકારી વધવાને બદલે પ્રજા પરેશાન થઇ રહી છે ત્યારે આવા ઢીલી અને હલકી ગુણવત્તા વાળી કામગીરી કરનાર પર આખરે ક્યારે કસાશે સકંજો ?
સળગતા સવાલ
માર્ગનું નવિનીકરણ કેવું થયું કે થોડા દિવસોમાં રોડ ઓગળ્યો?
માર્ગ બનાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન કેમ ન રખાયું?
માર્ગના કામમાં ભ્રષ્ટાચાર થયો?
માર્ગ બન્યો તે સમયે અધિકારીઓએ ગુણવત્તાનું લેબ ટેસ્ટિંગ કર્યું કે નહી?