ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશનની સુનાવણી દરમિયાન MBBSના વિદ્યાર્થીઓ અને આશાવર્કરનો પ્રાથમિક ધોરણે રસી આપવાની કરાઈ રજૂઆત
હાઈકોર્ટમાં સુઓમોટો પિટીશન પર સુનાવણી
MBBSના વિદ્યારથીઓ અને આશાવર્કરની કામગીરી અંગે રજૂઆત
પ્રાથમિક ધોરણે આ લોકોને વેક્સિન આપવાની કામગીરી થવી જોઈએ
એક તરફ તૌકતે વાવાઝોડાને લઈ સરકાનું સંપૂર્ણ ધ્યાન તેના પર છે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં હજુ પણ સુનાવણી ચાલું છે. તો આવી જ એક અરજીમાં MBBSના વિદ્યાર્થીઓ અને આશાવર્કર બહેનોના રસીકરણને લઈ રજૂઆત થઈ છે. અરજદારે કહ્યું કે, સરકારે MBBSના વિદ્યાર્થીઓ અને આશાવર્કર બહેનોના રસીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ. તેવી રજૂઆત કોર્ટ સમક્ષ થઈ છે. આ બંને વર્ગના લોકોને સરકારે કોવિડ સંલગ્ન કામગીરી સોંપી છે.
જસ્ટિસ ભાર્ગવ કારીયાએ કહ્યું કે, મેં જાતે 12 કલાક બેડની માહિતી ચકાસી
જસ્ટિસ ભાર્ગવે સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા રિઅલ ટાઈમને લઈને પણ સવાલો કર્યા હતા. ખાલી બેડ વિશે લોકોને યોગ્ય માહિતી મળી રહે તેને લઈ જસ્ટિસ ભાર્ગવે કહ્યું કે, લોકોને ખાલી બેડ વિશે રિઅલ ટાઈમ ડેટા મળતો નથી. મેં પોતે 12 કલાક સુધી જાતે ચેક કર્યું છે. પરંતુ કોર્પોરેશનની કે સરકારી હોસ્પિટલની માહિતી અપડેટ થતી નથી.
રેમડેસિવિર અંગે સરકાર પાસે માગ્યો જવાબ
રેમડેસિવીર મુદ્દે પણ કોર્ટમાં જસ્ટિસ ભાર્ગવે સરકારને પ્રશ્ન કર્યો હતો. જ્યા રોજના માત્ર 16 હજાર જેટલા જ રેમડેસિવિર ઉપલબ્ધ થાય છે. પરંતુ રોજના 25 હજાર ઈન્જેકશનની જરૂ છે. શું આ રીતે સરકાર દર્દીઓને મરવા દેશે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ દેવો પડશે. બંને તંત્ર વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન દેખાતું નથી.
મ્યુકરમાઈકોસિસ મુદ્દે સરકારને કર્યા સવાલ
રસીકરણની સાથે કોરોના બાદ મ્યુકર માઈકોસિસિને લઈને પણ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. જે અંગે પણ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે સિનિયર વકીલ મિહીર ઠાકોરે પોતાની વાત રાખતા કહ્યું કે, મ્યુકર માઈકોસીસના ઈન્જેકશનની મોટી અછત છે. અને સામે તેની કિંમત પણ વધારે છે. દર્દીઓની સંખ્યા સામે પૂરતા ઈન્જેક્શન પ્રાપ્ત નથી. મ્યુકર માઈકોસિસના ઈન્જેક્શનની કિંમત 7 હજાર છે. અને મોટી સંખ્યામાં આ ઈન્જેકશન દર્દીઓને આપવા પડે છે.
તો સાથે હાઈકોર્ટે ટેસ્ટિંગ મુદ્દે પણ જવાબ માગ્યો છે. ખાસ કરીને ગામડાઓમાં ટેસ્ટિંગ, વધતા કેસો અને વ્યવસ્થા અંગે સરકાર શું કરી રહી હોવાનો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં AGએ કહ્યું કે, ટેસ્ટિંગ માટે 26માંથી 15 યુનિવર્સિટીમાં કામગીરી શરૂ છે. અને 6 યુનિવર્સિટીમાં એક સપ્તાહમાં આ કામગીરી શરૂ થઈ જશે. જેના બાદ કોર્ટે ટિપ્પણી કરી હતી. અને કહ્યું કે, માત્ર કાગળ પર કામ ચાલશે નહીં. સરકાર આ મામલે સોગંદનામું રજૂ કરે.
જસ્ટિસ ભાર્ગવ કારીયાએ નિવેદન આપતા કહ્યું કે, અમારી માહિતી પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિ ગામડે 5 જેટલા લોકોનું મૃત્યું થાય છે. જેમના ટેસ્ટ પણ થયા નથી. અને આ લોકોને ટેસ્ટ કરવાની માહિતી પણ નથી. આ પ્રકારની સ્થિતિમાં સરકાર શું કરી રહી છે.