એક કેસમાં જુબાની આપવા આવેલા ગેંગસ્ટર સંદીપ વિશ્નોઈ (સેઠી)ની હત્યા
સંદીપ વિશ્નોઈની હત્યા બાદ બદમાશો સંદીપના મૃતદેહને પણ સાથે લઈ ગયા
રાજસ્થાનના નાગૌરમાં એક કેસમાં જુબાની આપવા આવેલા હરિયાણા ગેંગસ્ટર સંદીપ વિશ્નોઈ (સેઠી)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના નાગૌર કોર્ટની બહાર બની છે. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, ઘટના બાદ બદમાશો સેઠીના મૃતદેહને પણ સાથે લઈ ગયા છે. માહિતી મળતાં જ પોલીસ પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર સંદીપને નાગૌર કોર્ટમાં સુનાવણી માટે લાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન કારમાં સવાર બદમાશોએ 9 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે સંદીપનું ઘટનાસ્થળે જ મોત થયું. તમામ શૂટર્સ બ્લેક કલરની સ્કોર્પિયોમાં આવ્યા હતા. બદમાશોને શોધવા માટે પોલીસે નાગૌરની આસપાસ બેરિકેડ લગાવી દીધા છે. તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટના બાદ કોર્ટની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સંદીપ વિશ્નોઈના મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
સમગ્ર મામલે કેસની તપાસમાં સામેલ એક પોલીસકર્મીએ જણાવ્યું કે, સંદીપ હરિયાણાનો વતની છે અને સોપારી લઈને ગુનાને અંજામ આપતો હતો. આ સાથે તે ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં પણ સામેલ હતો. વિશ્નોઈ સેઠી ગેંગ સાથે સંકળાયેલો હતો. તેણે નાગૌરમાં એક વેપારીની પણ હત્યા કરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાય છે.
નોંધનીય છે કે, ત્રણ વર્ષ પહેલા 29 નવેમ્બર 2019 ના રોજ નાગૌર હત્યા કેસમાં સંદીપ વિશ્નોઈનું નામ પહેલીવાર સામે આવ્યું હતું. પૂછપરછ દરમ્યાન ખુલાસો થયો હતો કે, એક મહિલાએ તેના પતિની હત્યાનો બદલો લેવા માટે કાવતરું ઘડ્યું હતું. મહિલાએ હત્યા માટે હરિયાણાના ગેંગસ્ટર સંદીપ વિશ્નોઈને 30 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ કેસમાં ગેંગસ્ટર સંદીપ નાગૌર જેલમાં બંધ હતો.
ગેંગસ્ટરની હત્યા બાદ સાંસદે સવાલ ઉઠાવ્યા
આ ઘટના બાદ સાંસદ બેનીવાલે પોલીસની સંવેદનશીલતા પર સવાલ ઉઠાવ્યા છે. સાંસદે કહ્યું કે નાગૌર શહેરમાં કોર્ટ પરિસરમાં ખુલ્લેઆમ ગોળીબાર કરીને એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકનું નિવાસસ્થાન આ કોર્ટ સંકુલથી માત્ર 50 મીટર દૂર છે. કલેક્ટર, એસપીની ઓફિસ ત્યાંથી માત્ર 100 મીટર દૂર છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે પોલીસ અને વહીવટીતંત્રની જવાબદારી નક્કી થવી જોઈએ. નાગૌર સહિત રાજ્યમાં વધી રહેલા ગુનાખોરી ચિંતાનો વિષય છે, રાજ્યની કાયદો અને વ્યવસ્થા વેન્ટીલેટર પર છે. આવી ઘટનાઓ રાજસ્થાનમાં જંગલરાજના અસ્તિત્વનો પુરાવો છે.