સતત વિવાદોમાં રહેવાની ટેવ ધરાવતા અને ભાજપ તથા મોદી ભકતીના રંગે રંગાયેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના નામે વધુ એક વિવાદ બહાર આવ્યો છે, આ વખત સીધી ચૂંટણી આચાર સંહિતાનો યુનિવર્સિટીના સત્તાધીશોએ ભંગ કર્યાની ફરિયાદ થઈ છે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને ફોટો સાથે ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ કરાયું હતું, જે છેલ્લી ઘડીએ રદ કરાયું હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા આજે કોલેજોમાં નવા પ્રવેશાર્થીઓને 10,500 નમો ટેબ્લેટ આપવાનું ગોઠવાયું હતું. આ પહેલા યુનિવર્સીટી પ્રશાસન દ્વારા અગાઉ 27 હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દેવામાં આવ્યા હતા. જોકે તે બાદમાં બાકી રહી ગયેલા 10,500 વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા મુદ્દે યુનિવર્સીટીના પેટનું પાણી હલતું ન હતું. જોકે વિદ્યાર્થીઓની માંગણી બાદ આજે યુનિવર્સીટી સંચાલિત કોલેજોના સ્ટાફ અને વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપવાનું ગોઠવાયું હતું. જોકે આ નમો ટેબ્લેટ પર પીએમ મોદીનો ફોટો હોવાનું માલુમ પડતા કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ કલેકટરને આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાતા આ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે હવે વિદ્યાર્થીઓને ફરી એકવાર ટેબ્લેટ માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે..
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આર્મી દ્વારા એર સર્જીકલ સ્ટ્રાઈક કરીને બદલો લેવામાં આવ્યો હતો. તે પછી તેના પર રાજકારણ ખૂબ ગરમાયુ હતું. તેવામાં ચૂંટણી પંચે સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ રાજકીય પક્ષ ચૂંટણી પ્રચાર માટે આર્મીના નામનો કે ફોટાનો ઉલ્લેખ કરી શકશે નહીં. તેવામાં નવસારીના પ્રવર્તમાન સાંસદ સી.આર.પાટીલે ગઈકાલે તેમની ફેસબુક પોસ્ટ પર પીએમ મોદીના ફોટા સાથે સેનાની મજબૂતી બતાવતો એક ફોટો અપલોડ કર્યો હતો.
પીએમ મોદીના ફોટા સાથે સેનાની મજબૂતી બતાવતો એક ફોટો સીધો જ આચારસંહિતાનો ભંગ કરતું હોવાનું માલુમ પડતા કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને કલેકટર અને ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી.
ત્યારબાદ સી.આર.પાટીલે પોતાની વોલ પરથી આ પોસ્ટ દૂર કરવાની ફરજ પડી હતી..જોકે સાંસદનો જ્યારે અમે સંપર્ક કર્યો ત્યારે તેમણે એ કહીને પોતાનો બચાવ કર્યો હતો કે તેઓ હાલ ઉમેદવાર નથી. એટલે આ ફરિયાદ તેમને લાગતી નથી. ફરિયાદ કરનારે અંગત સ્વાર્થ માટે આ કર્યું હોવાની પણ વાત તેમણે કરી હતી..