શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શિવને પ્રિય હોવાની સાથે સાથે મનોકામના પૂર્ણ કરવાનો પણ મહિનો છે. શ્રાવણ માસને વર્ષનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં લગ્ન સંબંધિત તમામ પરેશાનીઓથી છુટકારો મળી શકે છે.
આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસને લઈને દેશભરના વિવિધ શિવાલયોમાં વિશેષ તૈયારીઓ પણ હાથ ધરાઈ ચૂકી છે. ત્યારે હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતી ગંગા નદીના ઘાટે પણ વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી.
વહેલી સવારથી જ ભક્તોએ ગંગા નદીમાં આસ્થાની પણ ડૂબકી લગાવી. ત્યારબાદ વહેલી સવારે ગંગા ઘાટે યોજાતી ગંગા આરતીનો પણ લ્વાહો લીધો. વહેલી સવારથી જ ગંગા ઘાટે ભક્તો, આસ્થા અને શ્રદ્ધાનો અનોખો સમન્વય જોવા મળ્યો. એટલું જ નહીં પવિત્ર શ્રાવણ માસ શરૂ થતા જ હવે કાવડિયાઓનો પ્રવાહ પણ ગંગા ઘાટે ધસમસતો જોવા મળ્યો.
ખાસ કરીને શ્રાવણ માસને લઈને દેશભરના વિવિધ શિવાલાયોમાં પણ પૂરતી તૈયારીઓ આદરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગઈ રાતે જ ચંદ્રગ્રહણ પણ પૂર્ણ થયું છે અને તે બાદ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી.