જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સુરક્ષાદળોને આતંકવાદનો ખાત્મો કરવામાં મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના અવંતીપોરાના ત્રાલમાં એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના આતંકવાદી કમાન્ડર શામ સોફીને ઠાર માર્યો હતો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ વાતની પુષ્ટિ કરી છે. આ એન્કાઉન્ટર જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં થયું હતું.
સુરક્ષા દળોએ બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં પુલવામાં જિલ્લાના અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં તિલવાની મોહલ્લા વાગ્ગાડમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદનો ટોચનો આતંકવાદી કમાન્ડર શામ સોફી માર્યો ગયો છે. હવે સર્ચ ઓપરેશન ચાલુ છે.