જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ આજે સવારે થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. સેનાને આતંકીઓ છુપાયા હોવાની માહિતી પ્રાપ્ત થયા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે સેનાની 32આરઆર ટુકડી સોપાર અને વાટરગામમાં આતંકીઓને લઇને સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે છુપાયેલાં આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી કરી મુંહતોડ જવાબ આપ્યો. કેટલાક સમય સુધી ચાલેલ ફાયરિંગમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો.
સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આતંકી પાસેતી એક પિસ્તોલ અને ત્રણ હાથગોળા પ્રાપ્ત થયા છે. જો કે હજુ સુધી આતંકીની ઓળખ થઇ શકી નથી. જો કે હાલમાં આ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 13 એપ્રિલના રોજ શોપિયામાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
ગહંડ વિસ્તારમાં અથડામણ બાદ સેનાને અહીં સફળતા મળી હતી. 6 એપ્રિલના રોજ પણ શોપિયાના ઇમામ સાહિબ વિસ્તારમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. જ્યારે 28 માર્ચના રોજ સુરક્ષાદળોએ શોપિયાં અને હંદવાડામાં પાંચ આતંકીઓને અથડામણમાં ઠાર માર્યા હતા.
આ વર્ષે જાન્યુઆરીથી સુરક્ષાદળોએ જમ્મૂ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ ચાલુ રાખ્યું છે. આ વર્ષે માર્ચ સુધીમાં 60થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. જેમાં સૌથી વધુ જૈશ-એ-મહોમ્મદના 22 આતંકી છે. આ સિવાય આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદીનના 15 અને લશ્કર-એ-તૈયબાના 14 આતંકી ઠાર મરાયાં છે.