શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવુ એ વાસ્તવમાં શ્રેષ્ઠ માતાપિતા બનવાની સાધના છે. અને બાળકનું સાચું શિક્ષણ તેના ગર્ભકાળથી જ શરૂ થઇ જાય છે. સર્ગભા મહિલાની શારિરીક,માનસિક,ભાવનાત્મક અને આધ્યાત્મક વિકાસની અસરો ગર્ભસ્થ બાળક પર થાય છે. આ કાર્ય ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના તપોવન સંશોધન કેન્દ્રમાં નિશુલ્ક થાય છે.
ઉલ્લેખનીય છે કે, પ્રાચીન કાળથી જ ભારતના ઋષિઓ ઉત્તમ સંતાન મેળવવા માટે ગર્ભવિજ્ઞાન અને ગર્ભસંસ્કારનો ઉપયોગ કરતા હતા. ગર્ભસ્થ બાળક સાંભળે છે એના અનેક ઉદાહરણો છે. આજના યુગમાં બાળકોમાં સારા સંસ્કારનું સીંચન કરવુ અઘરૂ છે ત્યારે ગુજરાતમાં ૨૨ તપોવન કેન્દ્ર આ કાર્ય કરી રહ્યા છે. પ્રત્યેક બાળક મહત્વનું છે તે ધ્યેય સાથે ૨૦૧૦માં તપોવન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં અંદાજે ૩૧ હજાર કરતા વધુ મહિલાઓએ તપોવન કેન્દ્રની સેવા લીધી છે. તપોવનમાં મહાનપુરૂષોના જીવન ચરિત્ર,ધર્મગ્રંથો, જ્ઞાનવિજ્ઞાનના અને જીવન ઘડતરના પુસ્તકો છે. બાળકમાં સંગીત, સાહિત્ય, ચિત્ર,કલાઓ પ્રત્યે અભિરૂચી જન્મે તે માટે માતાને વિવિધ પ્રકારના સંગીતોનું રેકોર્ડીંગ સંભળાવવામાં આવે છે ચિત્ર દોરવા,
વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા જેવી અનેક સર્જનાત્મક પ્રવૃતિઓ થાય છે.
પ્રકૃતિ વિહાર,ઓડિયો-વિડિયો નિર્દશન, સંસ્કૃત પઠન, ગણિત કોયડા-ઉકેલ, ફિઝિયોથેરાપી, ભાષાશુદ્ધિ, સામૂહિક કાઉન્સેલિંગ જેવા કાર્યો પણ થાય છે. ગાયનેક,આર્યુવેદિક અને હોમિયોપેથી ડોક્ટરોનું માર્ગદર્શન મળી રહે છે. પૌષ્ટિક વાનગીનું નિર્દેશન આપવામાં આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ તપોવન કેન્દ્રમાં એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતી આ દરેક સેવાઓ સર્ગભા મહિલાઓને નિશુલ્ક આપવામાં આવે છે.
કોઇ પણ ગર્ભવતી મહિલા ગુજરાતના કોઇ પણ તપોવન કેન્દ્રમાં જઇને પોતાના આવનારા બાળક માટે સારા સંસ્કારોનું સિંચન કરી શકે છે. જે સર્ગભા બહેનો આ કેન્દ્ર પર નથી આવી શકતી તેવી બહેનો માટે તપોવન રથ શરૂ કરવામાં આવ્યો છે. જે ગામડાની આંગણવાડી કે પી.એચ.સી સેન્ટર અને અન્ય અનુકૂળ જગ્યાએ અઠવાડિયામાં એકવાર ચલાવવામાં આવે છે. ગાંધીનગર જીલ્લાના સુધડ,ઉનાવા,શીહોલી,ડભોડા, અને પેથાપુર એમ પાંચ સેન્ટરો ચાલે છે આવનારા ભવિષ્યમાં તપોવન રથ દરેક જગ્યાએ શરૂ કરવાની સંભાવના છે. જ્યારે અત્યારે સમગ્ર ગુજરાતમાં બાવીસ તપોવન કેન્દ્ર કાર્યરત છે.