દિલ્હી: કાળા નાણાં વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં સરકારને મોટી સફળતા મળી છે. સ્વિટ્ઝર્લૅન્ડ ભારત સરકારની અપીલ પર બે ભારતીય કંપનીઓ અને ત્રણ વ્યક્તિની વિસ્તૃત માહિતી આપવાની તૈયારી દર્શાવી છે.
સ્વિટ્ઝર્લૅન્ડ આ પહેલા પણ ખાતાધારકોની જાણકારી આપતું રહ્યું છે. સ્વિસ સરકારે એક ગેજેટ નોટિફિકેશનમાં જણાવ્યું કે ભારતની અપીલ પર જિયોડેસિક લિમિટેડ અને આઢી એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડની માહિતી આપશે.
જેમાં જિયોડેસિક લિમિટેડ સાથે ત્રણ વ્યક્તિ પંકજ કુમાર ઓંકાર શ્રીવાસ્તવ પ્રશાંત શરદ મુલેકર અને કિરણ કુલકર્ણીની માહિતી આપવામાં આવશે. સ્વિસ સરકારે એ નથી જણાવ્યું કે આ કંપનીઓ અને વ્યક્તિઓ મામલે ભારતીય અધિકારીઓએ શું જાણકારી માગી હતી.
મહત્વનું છે કે 1982માં સ્થપાયેલી જિયોડેસિક લિમિટેડને એક સમયે ટેકનોલોજી સેક્ટરની સૌથી ઝડપથી આગળ વધનારી કંપનીમાં સામેલ કરવામાં આવતી હતી..જોકે આજની તારીખમાં કંપનીની વેબસાઈટ પણ બંધ છે..અને અનિયમિતતાના કારણે શેર બજારે પણ તેના શેરમાં કારોબાર બંધ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે સેબી ED અને મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી શાખા કંપની અને નિર્દેશકો વિરુદ્ધ તપાસ કરી રહી છે. જ્યારે નવેમ્બર 2014માં ચેન્નઈમાં શરૂ કરાયેલા આઢી એન્ટરપ્રાઈઝે રિયલ એસ્ટેટ અને અન્ય કારોબારમાં ઝડપથી પ્રગતિ કરી છે. જોકે કેટલાક સમયથી દાગી નેતાઓ સાથેના કથિત સંબંધો અને મની લોન્ડ્રીંગ કેસમાં સામેલ રહેવાના આરોપોના કારણે કંપનીનો કારોબાર ધરાશાઈ થઈ ગયો છે.