ટેલિવિઝન અને ફિલ્મી દુનિયાના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને સૌને ચોંકાવી દીધા. રવિવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને તેણે મોત વહાલું કર્યું. તેનો પરિવાર તેના નિધનથી તૂટી ગયો છે અને સૌથી વધુ દુઃખી તેના પિતા છે. દિકરાની મોતના સમાચાર સાંભળી તેના પિતા બેસૂધ થઈ ગયા હતા. તેના પિતા સુશાંતથી દૂર પટનામાં રહે છે. જેથી સુશાંતને હમેશાં પિતાની ચિંતા રહેતી હતી. સુશાંતે છેલ્લી વખત 3 દિવસ પહેલાં પિતા સાથે ફોન પર વાત કરી હતી.
સુશાંતના નિધનથી તેનો પરિવાર આઘાતમાં
છેલ્લી વખત 3 દિવસ પહેલાં સુશાંતે પિતા સાથે કરી હતી વાત
સુશાંતના પિતા કૃષ્ણ કુમાર પટનામાં એકલા રહે છે. તેમની દેખરેખ માટે ઘરમાં કેરટેકર રહે છે. જેનું નામ લખ્મી છે. છેલ્લી વખત જ્યારે સુશાંતે પિતાની કેરટેકર લક્ષ્મી સાથે વાત કરી ત્યારે સુશાંત તેને કહી રહ્યો હતો કે પ્લીઝ મારા પિતાને કોરોના વાયરસથી બચાવજો. લક્ષ્મીએ આગળ જણાવ્યું કે, રવિવારે જ્યારે સુશાંતના પિતા લંચ કરી રહ્યાં હતા, ત્યારે મુંબઈથી કોલ આવ્યો અને પોલીસ સુશાંતે ઘરમાં સુસાઈડ કરી લીધું હોવાનું જાણકારી આપી. આ સમાચાર સાંભળતા જ તેના પિતાને ચક્કર આવી ગયા અને પછી તેમના મિત્રો અને પાડોશીઓએ તેમને સંભાળ્યા.
લક્ષ્મીએ જણાવ્યું કે, સુશાંત તેને દીદી કહેતો હતો. તે રોજ પિતા સાથે વાત કરતો હતો. 3 દિવસ પહેલાં સુશાંતે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે પાપા અને તમે બંને કોરોનાથી સાવચેત રહેજો. લક્ષ્મીએ જણાવ્યું કે, સુશાંતે થોડાં દિવસ પહેલાં કહ્યું હતું કે, તે પટના આવશે તો પિતાજીને ક્યાંક પહાડોમાં ફરવા લઈ જશે, પરંતુ તે આવ્યો જ નહીં અને આવા ખરાબ સમાચાર મળ્યા.
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા અને પરિવારના કેટલાક સભ્યો મોટી રાતે મુંબઈ આવવા રવાના થઈ ગયા હતા. સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. પોલીસને તેના ઘરેથી મેડિકલ ફાઈલ મળી હતી. એવા પણ સમાચાર સામે આવ્યા કે, સુશાંત નવેમ્બરમાં લગ્ન કરવાનો હતો. એક્ટરના કઝિન ભાઈએ આ વાતનો ખુલાસો કર્યો. આજે તેનું અતિમ સંસ્કાર થશે. કોરોનાને કારણે તેના અંતિમ સંસ્કારમાં વધુ લોકો સામેલ થઈ શકશે નહીં.