સુશાંત સિંહ રાજપૂત કેસમાં હજી સુધી ભલે કોઈ ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી પરંતુ એક કડવું સત્ય એ છે કે, આ હાઈ પ્રોફાઈલ કેસમાં જનતા દ્વારા ચૂકવેલા ટેક્સના કરોડો રૂપિયા બરબાદ થઈ ગયા. રસપ્રદ એ પણ છે કે, આ મામલે તપાસનું બહાનું કાઢી ઘણાં અધિકારીઓએ દિલ્હીથી લઈને મુંબઈ સુધી ખૂબ હવાઈ યાત્રા કરી. જોકે, આ કેસથી કેસ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ માને છે કે આપણે સરકારી નોકરી કરીએ છીએ અને કોઈપણ તપાસનો હેતુ તેમાં ન્યાય આપવાનો છે, તેમાં કર્મચારી અધિકારીઓના પગારમાં કેટલી રકમ ખર્ચ થઈ એ જોવાનું કામ આપણું નથી.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં અત્યાર સુધીનો ખર્ચનો આંકડો સામે આવ્યો
આ કેસ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા
સીબીઆઈથી લઈને ઇડી અને એનસીબીએ તપાસ કરી
સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂને મુંબઇમાં અવસાન થયું હતું અને તે પછી થોડાં દિવસમાં જ મુંબઈની હાઈપ્રોફાઈલ પોલીસ એ તારણ કાઢ્યું હતું કે આ મોત ફક્ત આત્મહત્યા છે. રસપ્રદ વાત એ છે કે આ તપાસના બહાને મુંબઈ પોલીસે ફિલ્મ જગતના ઘણાં લોકોને બોલાવીને પૂછપરછ કરી હતી અને તપાસનું પરિણામ શૂન્ય હતું. આ મામલે હોબાળો મચાવ્યા બાદ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ આ કેસમાં તપાસ શરૂ કરી હતી.
તપાસમાં જનતાના કરોડો રૂપિયા ખર્ચાયા
સુશાંત સિંહ રાજપૂત કેસમાં છ મહિના દરમિયાન મુંબઈ પોલીસ સહિત ચાર તપાસ એજન્સીઓ તપાસ કરી પરંતુ પરિણામ કંઈ મળ્યું નહી અને સીબીઆઈનું પણ માનવું છે કે આ એક આત્મહત્યા હતી. જોકે, હજી સુધી પરિણામ ભલે ઝીરો રહ્યું હોય પરંતુ હકીકત એ છે કે, 4 એજન્સીઓ દ્વારા 6 મહિનામાં કરવામાં આવેલી તપાસ દરમિયાન સામાન્ય જનતા દ્વારા ટેક્સમાં ચૂકવેલા કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા.
આ રીતે ખર્ચાયા કરોડો રૂપિયા
તમને જણાવી દઈએ કે, મુંબઈ પોલીસના 4 ડઝનથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ 2 મહિનાથી આ હાઇ પ્રોફાઇલ કેસની તપાસમાં રોકાયેલા હતા. એ જ રીતે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડઝનથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કેસની તપાસમાં રોકાયેલા હતા. આ કેસ સીબીઆઈને સોંપ્યા પછી, સીબીઆઈના લગભગ 50 અધિકારીઓ અને કર્મચારીઓએ તેની પ્રારંભિક તપાસ ચાલુ રાખી હતી અને આ હેતુ માટે એક વિશેષ ટીમ દિલ્હીથી મુંબઇ મોકલવામાં આવી હતી.
5 કરોડ રૂપિયા ખર્ચાયા
આ કેસની તપાસમાં એનસીબીની એક ખાસ ટીમ ફ્લાઈટમાં દિલ્હીથી મુંબઈ યાત્રા કરવા લાગી. જોકે, આ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હોય અથવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હોય કે સીબીઆઈ કોઈ પરિણામ લાવી શક્યા નહીં. હવે આ તપાસમાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓના પગાર, તેમનું વિમાનથી આવવા જવાનું ભાડું, ટ્રેનોનું ભાડું, રહેવા ખાવાનો ખર્ચ જોડવામાં આવે તો બધો ખર્ચ 5 કરોડ રૂપિયાથી વધુ થાય છે. હવે એ વાત પણ સામે આવી રહી છે કે જે રીતે તપાસ એજન્સીઓ આ કેમમાં એક્ટિવ થઈ એ રીતે અન્ય કેસોમાં પણ એક્ટિવ કેમ દેખાતી નથી.