સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી રહી છે. ડભોલી વિસ્તારમાં આવેલી એમ સ્કવેર બિલ્ડિંગના બીજા માળે આગ લાગી છે.
સુરતમાં એક બિલ્ડિંગમાં બીજા માળે આગ લાગી હતી
30 જેટલા લોકો બિલ્ડિંગના ત્રીજા માળે ફસાયા હતા
હાઇડ્રોલિક સીડીની મદદથી ફસાયેલા લોકોને બહાર કઢાયા
સુરતમાં આગની ઘટનાના સમાચાર આવતા જ લોકો ચિંતામાં મૂકાય જાય છે. ત્યારે આજે શહેરના ડભોલી વિસ્તારની એક બિલ્ડિંગમાં કોઇ કારણોસર આગનો બનાવ બન્યો હતો. બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી. જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો. જેને લઇને ઉપરના માળ સુધી લોકો ફસાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા. અંદાજે 20 બાળકો સહિત કેટલાક લોકો બિલ્ડિંગના ત્રીજા માળે ફસાયા હતા. આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવ બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી દેવાઇ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી પૂર્ણ કરીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટના બનતા શહેરીજનોને તક્ષશિલા યાદ આવી ગઇ છે. જોકે તક્ષશિલા જેવી ઘટના બનતા રહી ગઇ. ધુમાડો ઉપર સુધી પહોંચતા જ વિદ્યાર્થીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. જેને લઇને મોટી દુર્ઘટના બનતા રહી ગઇ.
તમામને બચાવી લેવાયા, હાઈડ્રોલિક સીડીની લેવાઇ મદદ
આગ બિલ્ડિંગના બીજા માળે લાગી અને ત્રીજા માળે ફસાયેલા 20 વિદ્યાર્થી અને અન્ય લોકો ફસાયા હતા. જેને લઇને ફાયર વિભાગે બચાવ કામગીરી માટે હાઇડ્રોલિક સીડીની મદદ લીધી હતી. જેના દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. મહામહેનતે લોકોને બચાવી લેવાયા છે. સમયસર ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતા મોટું નુકસાન ટળ્યું છે.
આગ લાગતા લોકોનું ટોળુ થયું એકત્ર
બિલ્ડિંગમાં આગ લાગતા આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા. આગની ઘટના બાદ આસપાસના લોકોનું ભારે ટોળુ એકત્ર થઈ ગયુ હતુ. આગ લાગ્યા બાદ આ વિસ્તારમાં ભારે ટ્રાફિક પણ જામ થયો હતો. આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ હાહાકાર મચી ગયો હતો. જો આગ વિકરાળ બની હોત તો મોટા નુકસાનની ભીતિ હતી. જોકે હાલ કોઇ જાનહાનિના સમાચાર નથી.
હાલ ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી અને આગ લાગવાનું કારણ શોધવાના પ્રયાસ કરવામાં આવશે. તો સાથે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનોને લઇને પણ તપાસ કરવામાં આવશે.
3 દિવસમાં સુરતમાં આગની ત્રીજી ઘટના
આ અગાઉ સુરતના અડાજણ વિસ્તારમાં બે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અડાજણમાં બે કાર સળગીને ખાક થઇ ગઇ હતી. આ ઘટના પાછળનું કારણ GEBના ટ્રાન્સફોર્મરનું ઓઇલ લિકેજ છે એમ માનવામાં આવી રહ્યું છે. તો આ અગાઉ સુરતના અડાજણ પાટિયાના રિવરફ્રંટમાં આવેલા ડોમમાં આગ લાગી હતી.