સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે. સુરતની કિરણ હોસ્પિટલ પણ આ મહોત્સવનો એક ભાગ બની છે.
કિરણ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિર્ણય
1 વર્ષ 750 બાળકોની સર્જરી કરશે વિનામૂલ્યે
ભારત દેશ સ્વતંત્ર થયો 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા ખુબ જ મહત્વનો નિર્ણય કરાયો છે.આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જટીલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ આપવા માટે 1 વર્ષ દરમિયાન 10 વર્ષની ઉંમર સુધીના 750 જેટલા બાળકોની સર્જરી કરવામાં આવશે. જેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી ઉપરાંત જો બાળકને જન્મજાત કોઈ બીમારી હોય તો પણ બાળકની સર્જરી કરશે..આ સર્જરી માટે 25 લાખ જેટલો ખર્ચો થતો હોય છે પરંતુ કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 750 જેટલા બાળકોની સારવાર તદ્દન મફત કરશે.
બિહારની બાળકીને સુરતમાં મળ્યું હતું નવજીવન
તો અગાઉ બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામમાં રહેતી અઢી વર્ષની ચહુંમુખી કુમારી 4 હાથ અને 4 પગ લઇને જન્મી હતી. 30મેના રોજ બાળકીને સુરત લાવવામાં આવી હતી. સોનુ સુદ ફાઉન્ડેશન દ્વારા આ બાળકીનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લેવામાં આવી હતી પરંતુ સુરત કિરણ હોસ્પિટલે એક પણ રૂપિયાનો ખર્ચ લીધા વગર મફતમાં જટિલ ઓપરેશન પાર પાડ્યું હતું.હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી. આ ઓપરેશનમાં અંદાજે 10થી 15 લાખનો ખર્ચ થયો હતો.
કોરોનાકાળમાં પણ દર્દીઓને કરી હતી આર્થિક મદદ
કોરોના સંક્રમિત દર્દીઓ સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનું જોખમ દર્દીઓ પર મંડરાયેલું જોવા મળ્યું હતું ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન સુરતમાં કિરણ હોસ્પિટલે મ્યુકોમાઈકોસિસ દર્દીઓ માટે અનોખી પહેલ કરી હતી.જેમાંઆ ઓછી આવક ધરાવતા દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી. એક સપ્તાહમાં 25 દર્દીઓને 1-1 લાખના ચેક અપર્ણ કર્યા હતા. કોરોના સંક્રમણ દરમિયાન દર્દીઓને સ્ટેરોઈડ આપવામાં આવતા હોવાથી મ્યુકોમાઈકોસિસના દર્દીઓને 45 દિવસમાં 180 ઈન્જેક્શન લેવા પડતા હોય છે ત્યારે કિરણ હોસ્પિટલે દર્દીઓને આર્થિક સહાય કરતા દર્દીનો માટે આર્શિવાદ રૂપ બની હતી.