સુરતના તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મૃતક બાળકોના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે, આ કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને સોંપવામાં આવે.
અરજીમાં પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, પોલીસ તપાસને ગેરમાર્ગે દોરી શકે છે. પોલીસ તપાસમાં ઢીલી નીતિ અપનાવી રહી છે. જેથી આ અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે અને સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા તપાસની માગ કરવામા આવી છે.
તો આ મામલે જલ્દી આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, આ અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. તો ક્લાસીસમાં ફાયર સેફ્ટીના અભાવના મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી છે. સાથો સાથ ફાયર સેફ્ટી મુદ્દે દિશા નિર્દેશ જાહેર કરવા માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.